Red Alert in Ahmedabad: રાજ્યમાં હાલ કાળઝાળ (heatwave) ગરમી પડી રહી છે. અમદાવાદમાં (ahmedabad) આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર (red alert) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદમાં વોર્મ નાઈટ (warm night) રહેશે. આગામી સપ્તાહે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. અમદાવાદ ગ્રામ્ય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 26 મે સુધી આકરમી ગરમી પડશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં થશે ઘટાડો થશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચું જવાની શક્યતાં છે.


અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. અંદમાન નિકોબાર ટાપુ પર બેસેલ ચોમાસુ આગળ વધશે. પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વર્ષે બંગાળના ઉપસાગર માં ભારે વાવાઝોડા સર્જાવાની શક્યતા છે. અરબ સાગરમાં જૂન માસમાં ચક્રવાત સર્જવાની શક્યતા છે. 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે.






 ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરાવવાની સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં અનેક જગ્યાએ બિલ્ડરો દ્વારા શ્રમિકો પાસે ભર બપોરે કામ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રમિકો આ મામલે ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.


સરકારે સર્ક્યુલરમાં કહ્યું છે કે, મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર રહેતી/પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે ૧:૦૦ થી ૪:૦૦ના સમયગાળા દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતિ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાકટર્સ વગેરેને બાંધકામ પ્રવૃતિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ/વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે તથા તે રીતે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો-૨૦૦૩ના નિયમ-૫૦(૨) મુજબનો વિશ્રામનો સમય ગણવાનો રહેશે તેમજ નિયમ- ૫૦(૩) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહી તેનું ધ્યાન રાખવા આથી સૂચના આપવામાં આવે છે.


નિયમનું પાલન નહિ કરતા બિલ્ડરો કે માલિક સામે શ્રમિકો 155372 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકે છે. નિયામક ઔધોગિક સલામતી વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાનું પાલન નહિ કરનાર સામે સાઈટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.