Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ચાણક્યપુરીમાં ગુંડાતત્વોએ રવિવારે આતંક મચાવ્યો હતો. તલવારો, લાકડીઓ લઇને પહોંચેલા ગુંડાતત્વોએ શિવમ આર્કેડ સોસાયટીમાં નાગરિકોને ડરાવ્યા હતા. દારૂની પાર્ટી રોકવાના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર લોકો સહિત 15 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. રવિ ઠાકોર,પરાગ ઠાકોર,મોન્ટુ ઠાકોર અને અર્જુન ઠાકોર સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઇ હતી. ટોળામાં આવેલા અન્ય 10 જેટલા ઇસમ સામે મોડી રાતે ફરિયાદ દાખલ કરાઈ હતી.


અમદાવાદમાં ગુંડાતત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ચાણક્યપુરીની શિવમ આર્કેડ સોસાયટીમાં લુખ્ખા તત્વો તલવાર અને હથિયારો સાથે ઘૂસી ગયા હતા અને આતંક મચાવ્યો હતો. સોસાયટની સ્થાનિકોનો આરોપ છે કે થોડા દિવસ પહેલા ભાડે રાખેલા ફ્લેટમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હતા જેને લઇને સ્થાનિકોએ દરોડા પાડ્યા હતા. જેમાં બે વ્યકિત ઝડપાઈ ગયા હતાં. જ્યારે ત્રણ વ્યકિત ભાગી છૂટ્યા હતાં.


જોકે બાદમાં ભાગી છૂટેલા ત્રણ શખ્સના 15થી 20 જેટલા સાગરિતો હાથમાં તલવાર અને ધોકા લઈ ધસી આવ્યા હતાં. અહીં અડધો કલાક સુધી હાથમાં પથ્થરોથી તોડફોડ કરી હતી. આટલું જ નહીં હાથમાં તલવાર સાથે સોસાયટીના રહીશોને બાનમાં લીધા હતાં.


આખરે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસ આવે તે પહેલા જ તોફાનીઓ નાસી છૂટ્યા હતા. સ્થાનિકોના આરોપના પગલે પોલીસે મકાનમાં તપાસ કરતા દારૂની બોટલ સહિતનો સામાન મળી આવ્યો હતો. સોલા પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ કબ્જે લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ તો આતંક મચાવનારા પૈકી બે આરોપીને જ પોલીસે ઝડપી લીધા છે. જ્યારે અન્ય આરોપીઓ પોલીસ પકડથી બહાર છે. અહીં સવાલ એ છે કે કેમ અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી.                                                                       


Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત