ગાંધીનગર: તાજેતરના વર્ષોમાં ગુજરાત હૃદયરોગની અદ્યતન સારવાર માટે દેશભરમાં જાણીતું બન્યું છે, જે ભારતભરમાંથી તેમજ આંતરરાષ્ટ્રીય સરહદોની પારથી આવતા દર્દીઓને હૃદયરોગની ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 29 સપ્ટેમ્બરનો દિવસ ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે, ત્યારે ગુજરાતની યુ.એન. મહેતા હોસ્પિટલના હૃદયરોગ સંબંધિત પ્રયાસો પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ બને છે. અમદાવાદમાં સ્થિત યુ.એન. મહેતા કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે આશાનું કિરણ બનીને ઉભર્યું છે. 


ઉદાહરણ તરીકે જોઈએ તો કેશોદમાં રહેતા હીનાબેન અને તેમના પતિ સુરેશભાઈના  4 મહિનાના દીકરા ઘનશ્યામના ગંભીર હૃદયરોગનો શિકાર બન્યો હતો. સામાન્ય પરિવાર માટે ઓપરેશનનો ખર્ચો પોશાય તેવો ન હતો. જે બાદ તેઓ ઇલાજ  માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં આવ્યા. અહીં નિષ્ણાંતો દ્વારા સ્વાસ્થ્ય સંભાળ અને સારવારના કારણે તેમના બાળકને એક નવું જીવન મળ્યું. ઘનશ્યામની સર્જરી 26 જુલાઈ, 2024ના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલમાં થઈ હતી. 




તો બીજી એક ઘટનાની વાત કરીએ તો,ગાંધીનગરના 16 વર્ષીય પ્રણયસિંહ વાઘેલાએ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી અને હવે તે એક સ્વસ્થ જીવનનો આનંદ લઇ રહ્યો છે. આ પ્રક્રિયા ગુજરાત સરકારના સ્કૂલ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી, અને આ પહેલ હેઠળ પહેલી વાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.


છેલ્લા પાંચ વર્ષોમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે પોતાની હાર્ટ પ્રોસીજર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે વર્ષ 2020માં 13,615થી વધીને 2023માં 29,510 સુધી પહોંચી છે. ઓગસ્ટ 2024 સુધીમાં, રાજ્યમાં 19,560 હાર્ટ પ્રોસીજર પૂરી કરવામાં આવી છે, જે ભારતમાં હૃદયરોગની સારવારમાં આ સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવે છે. 


યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર જટિલ સર્જરીઓ માટે પણ એક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. અહીંયા કરવામાં આવેલી હાર્ટ સર્જરીઓની સંખ્યા 2020માં 3267થી વધીને 2023માં 7438 થઈ ગઇ  છે, અને ઓગસ્ટ 2024 સુધીમાં 5440 સર્જરીઓ થઈ ચૂકી છે, જેમાં ઘણા હાઇ રિસ્ક ઇન્ટરવેન્શન એટલે કે ઉચ્ચ કોટિના જોખમોવાળા હસ્તક્ષેપ પણ સામેલ છે. 


યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની તાકાત મજબૂત આઉટ પેશન્ટ અને ઇન-પેશન્ટ સંભાળ પણ છે. આ સંસ્થામાં આઉટ પેશન્ટ વિઝિટ્સ 2020માં 1,57,747થી વધીને 2023માં 3,35,124 થઈ ગઈ, જ્યારે ઓગસ્ટ 2024 સુધીમાં આ હોસ્પિટલમાં 2,41,033 દર્દીઓની સારવાર થઈ ચૂકી છે. અહીંયા ઇન-પેશન્ટ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે, જેમાં નિયમિત મોનિટરિંગથી લઇને પોસ્ટ-સર્જરી સપોર્ટ સુધીની સુધીની સેવાઓ સામેલ છે.


યુ.એન. મહેતા હોસ્પિટલ તેની હૃદયરોગ સંબંધિત સ્વાસ્થ્ય સંભાળ અને સારવાર સુવિધાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી રહી છે. આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હૃદયરોગના આંતરરાષ્ટ્રીય દર્દીઓની સંખ્યા 2020માં 21થી વધીને 2023માં 195 થઈ ગઈ છે. ઓગસ્ટ 2024 સુધીમાં અહીંયા 134 વધુ હૃદયરોગના આંતરરાષ્ટ્રીય દર્દીઓએ પોતાનો ઇલાજ કરાવ્યો છે, જે આ સંસ્થાની પોસાય તેવી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર સેવાઓના કારણે શક્ય બન્યું છે. 


યુ.એન. મહેતા હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મામલે પણ મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. 2022માં આ હોસ્પિટલમાં કરવામાં આવેલા કેટલાક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા અને 2023માં 14 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળ રહ્યા. ઓગસ્ટ 2024 સુધીમાં રાજ્યમાં 18 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન્સ કરવામાં આવ્યા છે, જે આ હોસ્પિટલની જટિલ હાર્ટ સર્જરીઓને સંભાળી શકવાની ક્ષમતા દર્શાવે છે.


આ પણ વાંચો...


Rain Gujarat : રાજ્યમાં હજુ કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું છે આગાહી