અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા પૂર્વ કાઉન્સિલરો સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અરુણા શાહ સામે સ્થાનિકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. અરુણા શાહ ત્રણ ટર્મથી ભાજપના કાઉન્સિલર રહ્યા છે. સેન્સ પ્રક્રિયામાં અરુણા શાહે સૈજપુર બોઘા વોર્ડમાં ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી હતી.




અગાઉ અરુણા શાહ ઠક્કર બાપાનગર વોર્ડમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે. ગઈ ટર્મ સુધી તેઓ ઠક્કરબાપા નગર વોર્ડના કાઉન્સીલર હતા. બેને હવે સૈજપુર બોઘા વોર્ડમાં ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી છે. ત્યારે કૃષ્ણનગરમાં મહિલા કોર્પોરેટરના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. અલગ અલગ પોસ્ટરમાં અલગ અલગ લખાણ લખવામાં આવ્યા છે.



એક પોસ્ટરમાં લખાયું છે કે, ચૂંટણી આવી એટલે અમારા કૃષ્ણનગરના મહિલા કોર્પોરેટર દેખાશે. ત્યાર બાદ ચૂંટણી પછી ખોવાઇ જશે. બીજા પોસ્ટરમાં લખ્યું છે કે, કૃષ્ણનગરનો વિકાસ નહીં પણ ગંદકી, ગુનાખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માગવા આવવું નહીં.

અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે કે, કોરોનાના કપરા સમયમાં જનતાની સંભાળ ન રાખનાર અમારા વિસ્તારમાં મત માંગવા આવવું નહીં.