અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કારણે થતાં મૃત્યુનો દર રાજ્યના અન્ય શહેરો કરતાં ઘણો ઉંચ છે. દેશભરના સરેરાશ મૃત્યુદર કરતાં 2.51 ટકા ઉંચો છે. ગુજરાતના અન્ય શહેરો કે જ્યાં આરોગ્યની સુવિધાઓ અમદાવાદ કરતાં ઘણી ઓછી છે ત્યાં મૃત્યુદર 4.97 ટકા છે, જ્યારે અમદાવાદનો મૃત્યુદર 5.74 ટકા છે. ભારતનો સરેરાશ મૃત્યુદર 3.23 ટકા ગણાય છે. જ્યારે ચીનનો મૃત્યુદર 5.5 ટકા અને અમેરિકાનો 5.9 ટકા રહ્યો છે. અમદાવાદ તેનાથી પણ આગળ નિકળી ગયું છે.


અમદાવાદમાં કોરોનાને લીધે થતાં મૃત્યુમાં સૌથી આગળ કેમ છે, તે બાબત પણ મેડિકલ દ્રષ્ટિએ રિસર્ચનો વિષય છે. કોરોનાની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી એટલે સારવારનો વાંક કાઢી શકાય તેમ નથી. પરંતુ દર્દીને ક્યા સમયે કેટલું ટ્રેમ્પ્રેચર હતું, તેને ઓક્સીજનની જરૂર છે કે નહીં, જરૂર હોય તો ઓક્સીજન આપતાં કેટલો સમય થયો ? તેને અપાતી એન્ટીબાયોટિક દવાની સાથે અપાતાં ખોરાકની ગુણવત્તા કેવી છે, પુરતાં પ્રમાણમાં તેને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે કે નહીં, તેને માનસિક સપોર્ટ આપવા સાઈકાટ્રીક કેટલી વખત મળે છે, વગેરે બાબતોનું હેલ્થકાર્ડ રખાય છે ખરું ? આ તમામ બાબતમાં થર્ડ પાર્ટી ઈન્સપેકશન થાય તે જરૂરી છે. પ્રાથમિક સુવિધાના ધાંધિયા સામે અનેક વિડીયો વહેતાં થયા છે, તો મેડિકલ સુવિધા કેવી છે, તે અંગે પણ પ્રશ્નો ઉભા થવા માંડયા છે. ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં ક્યાં ક્ષતિ રહી જાય છે, તે પ્રશ્નનો ઉત્તર શોધવા જેવો છે.

બીજી તરફ આ કપરાં સમયમાં મંત્રીઓ, ધારાસભ્યો, મ્યુનિ.ના હોદ્દેદારો, કેમેરા દેખીને હરખાતા આગેવાનો, નિવેદનિયા નેતાઓ કાચબાની જેમ અંગો સંકોરીને સલામત ખૂણાઓ શોધી ક્યાંક લોકડાઉન થઈ ગયા છે, તે પ્રશ્ન છે. કેરાલા, તામીલનાડું, પંજાબ જેવા રાજ્યોએ કઈ રીતે કોરોનાના કન્ટ્રોલમાં રાખ્યો છે, પડોશી રાજ્ય રાજસ્થાનમાં કેમ મૃત્યુદર નીચો છે, વગેરે બાબતોનો અભ્યાસ કરી ગુજરાત માટે કોઈ ચોક્કસ પોલિસીની જાહેરાત કેમ નથી કરાતી ? બધું જ નિયતી ઉપર છોડી દીધું હોય તેમ લાગે છે.

અમદાવાદમાં ગ્રીનઝોન ક્યારે અદ્રશ્ય થઈ ગયો, કેસરી ઝોનના વોર્ડ ઘટતા જાય છે અને રેડઝોનના વધતાં જાય છે, એવું કેમ તેનો જવાબ કેમ કોઈનીય પાસે નથી. રાજ્યના કુલ દર્દીઓમાં 70.22 ટકા અમદાવાદના હોય છે. જ્યારે કુલ મૃત્યુમાં 73.35 ટકા માત્ર અમદાવાદના જ હોય છે. સિવીલમાં દાખલ થયેલાં 295 દર્દીઓએ તેના વિકલ્પે હોમ-આઈસોલેશન પસંદ કર્યું, રજા લઈને ટ્રાન્સફર થયા તે બાબત ઘણું બધું કહી જાય છે.