અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસોમાં ફરીથી ચિંતાજનક વધારો થતાં મ્યુનિસિપલ કોર્પોરેશને પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના એસ.જી. હાઇવે સહિતના 27 વિસ્તારોમાં તાત્કાલિક અસરથી રાતના 10 વાગ્યા બાદ દવાઓ સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવાનો મહત્વનો નિર્ણય સોમવારે લીધો હતો.


જો કે આ નિર્ણય મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશને બે વાર ગુલાંટ લગાવતાં મીડિયા ગૂંચવાયું હતું અને મીડિયામાંથી સમાચાર મેળતા લોકો પણ ગૂંચવાયા હતા. આ ગૂંચવાડો દૂર કરવા છેવટે મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદના 27 વિસ્તારોમાં વ્યવસાયિક પ્રવૃતિ બંધ રાખવા અંગે સ્પષ્ટતા કરવી પડી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના એસ.જી. હાઇવે સહિતના 27 વિસ્તારમાં રાત્રિના 10 થી સવારે 6 સુધી દવાની દુકાન સિવાય તમામ દુકાનો માર્કેટ અને ખાણી પીણી બજાર બંધ રહેશે.

આ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પહેલી પ્રેસ નોટમાં દવાની દુકાનો સિવાય દુકાનો અને બજારો રાત્રિના 10 વાગ્યા બાદ બંધ રાખવાના નિર્ણયની જાહેરાત કરી હતી. એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ગુલાંટ લગાવીને બીજી પ્રેસ નોટમાં માત્ર ખાણીપીણી બજારો 10 વાગ્યા બાદ બંધ રાખવાનો ઉલ્લેખ કરાયો હતો. આ મુદ્દે ગૂંચવાડો થતાં આ ઉલ્લેખ અંગે કોર્પોરેશને સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે ,આ 27 વિસ્તારોમાં રાત્રીના 10 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન દવા સિવાયની તમામ દુકાનો, બજારો અને ખાણીપીણીના એકમ બંધ રહેશે.