અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ડોક્ટર્સ પણ મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. બી. જે. મેડીકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસથી લક્ષણ જણાતા કોરોના માટેનો ટેસ્ટ કરાવ્યો હતો. ડો.પ્રણય શાહ અને તેમના પત્ની બંનેને કોરોના પોઝિટિવ આવ્યો છે.


ડો. શાહ હાલમાં હોમ ક્વોરેન્ટાઇન થતા ચાર્જ એડિશનલ ડિન ડો.જયેશ સચદેને સોંપાયો છે. ડો. પ્રણય શાહની કેબિનને સેનિટાઈઝ કર્યા બાદ હાલ પૂરતી ખોલવામાં આવશે નહીં. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 495 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 392 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22562 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1416 પર પહોંચ્યો છે.

ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 77, વડોદરામાં 37, મહેસાણા-7, ગાંધીનગરમાં 5, રાજકોટ 5, ભરૂચમાં 5, કચ્છ 4, બોટાદ 4, સુરેન્દ્રનગર 4, નવસારી 4, પંચમહાલ 3, ભાવનગર 2, સાબરકાંઠા 2, પાટણ 2, જામનગર 2, અમરેલી 2, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં 1-1 કેસ નોંધાયો છે.