અમદાવાદઃ આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસ આજીવન કેદની સજા ભોગવી રહેલાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દીનુ સોલંકીના પરિવારના 14 લોકોને કોરોના થઈ જતાં સોલંકીએ હાઇકોર્ટમાં 30 દિવસના વચગાળાના જામીન માગ્યા છે. દીનુ સોલંકીએ રજૂઆત કરી છે કે પરિવારના ૧૪ સભ્યોને કોરોના થયો હોવાથી પરિવારના વડીલ તરીકે તેમજ નાણાકીય વ્યવસ્થા ગોઠવવા માટે તેનું ઘરે જવું જરૂરી છે. કોર્ટમાં સી.બી.આઇ.એ જામીનનો વિરોધ કર્યો છે. હાઈકોર્ટે પણ દીનુ સોલંકીને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરવાની સૂચના આપી છે. કેસની વધુ સુનાવણી આવાતા અઠવાડિયો હાથ ધરવામાં આવશે.


દીનુ સોલંકી દ્વારા અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, પોતે હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે અને તેમના વતનમાં પરિવારના 14 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પરિવાર જ્યાં રહે છે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોતાના પરિવારના સભ્યોની સારવાર માટેની વ્યવસ્થા કરવા માટે તેમજ ડૉક્ટરની સલાહ માટે તેમનું બહાર નીકળવું જરૂરી છે અને પરિવારના વડીલ તરીકે પોતાની હાજરી જરૂરી હોવાથી ૩૦ દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામા આવે તે જરૃરી છે.

સી.બી.આઇ. તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, આરોપીને અત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવાની મંજૂરી આપી શકાય નહીં. પરિવાર સથે સંપર્ક માટે તેઓ જેલમાંથી પણ વ્યવસ્થા કરી શકે છે. આ રજૂઆતને માન્ય રાખીને હાઇકોર્ટે પણ આરોપીને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરવા મૌખિક સૂચના આપી છે.