Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ ત્રીજા તબક્કાના મતદાનની પણ તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં 7 તારીખે ત્રીજા તબક્કાનું મતદાન થશે. જોકે, આ મતદાન પહેલા કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કેટલીક આશંકાઓ વ્યક્ત કરીને ચકચાર મચાવી દીધો છે.


પાર્થિવરાજ કઠવાડિયાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો


પાર્થિવરાજ કઠવાડિયાએ ક્ષત્રિય મતદાતાઓના નામ રિજેક્ટ થવાની ભીતિ સાથે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખીને કેટલીક બાબતો અંગે ધ્યાન દોર્યું છે. તેમણે કહ્યું કે, અંતિમ ઘડીએ ક્ષત્રિય મતદાતાઓના નામ કમી ન થાય એ માટે તકેદારી રાખવા માંગ છે. 2015 મનપા ચૂંટણીમાં અઢી લાખ મતદાતાઓના નામ કમી થયા હતા.


કમી થયેલ મોટાભાગના નામો પાટીદાર સમાજના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2015 માં પાટીદાર આંદોલનની જેમ અત્યાર ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. 2015 મનપા ચૂંટણીમાં ૨.૫ લાખ મતદાતાઓ રિજેક્ટેડ લિસ્ટમાં મૂકાઈ ગયા હતા. ભાજપના નેતાઓની નિવેદનબાજીના કારણે ક્ષત્રિયોમાં આક્રોશ છે. ૨૦૧૫ માં પાટીદારોના જેમ આ વખતે ક્ષત્રિય મતદાતાઓના નામ રિજેક્ટેડ લિસ્ટમાં મૂકી દેવામાં આવી શકે છે.


પોલીસ ભાજપના કાર્યકરોની માફક કામ ના કરે


ચીફ ઇલેક્શન કમિશ્નરને મેઈલ કરી તકેદારી રાખવા જાણ કરી છે. ઈલેક્શન કમિશન સમક્ષ અમે માંગ કરી છે કે ક્ષત્રિય મતદાતાઓને રિજેક્શન લિસ્ટમા ના મૂકવામાં આવે.  સ્ટેટ ઈલેક્શન કમિશનને રૂબરૂમાં રજૂઆત કરીશું.  રાજ્યમાં આંદોલન કરી રહેલ ક્ષત્રિય યુવકોના ઇલિગલ ડિટેક્શન થઈ રહ્યા છે. DGP ને વિનંતી કે પોલીસ ભાજપના કાર્યકરોની માફક કામ ના કરે એવી સૂચના આપવામાં આવે.  પોલીસકર્મીઓને પોતાની ડ્યુટી નિષ્પક્ષ રીતે નિભાવવા માટે સૂચના આપવા વિનંતી. 


તમને જણાવી દઈએ કે, હાલમાં બીજેપી નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માટે ક્ષત્રિય સમાજે રુપાલાની ટિકિટ રદ કરવા પણ માગણી કરી હતી. જો કે, બીજેપી હાઈ કમાન્ડ દ્વારા રુપાલાની ટિકિટ રદ કરવામાં આવી નહોતી. હવે ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલા અને બીજેપી વિરુદ્ધ મતદાન કરવા આંદોલન કરવા આહવાન કરવામાં આવ્યું છે.