Salangpur Controversy: સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વકરેલા વિવાદનો અંત આવ્યો છે. આજે સાંજે સ્વામી પરમાત્માનંદએ કહ્યું, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને ખોટો વાણીવિલાસ ન કરવા  તથા સમાજની સમરસતા ન તૂટે તેવા નિવેદન ન આપવા આદેશ અપાયો છે. ઉપરાંત અન્ય મુદ્દાઓ માટે સમિતિની રચના કરવામાં આવશે. કાલે સૂર્યોદય પહેલા ભીંતચીત્રો દૂર કરાશે. આજે સકારાત્મક માહોલમાં બેઠક યોજાઈ હતી. સદભાવના બેઠક 2 કલાક સુધી ચાલી હતી. સનાતન ધર્મનો સ્વામીનારાયણ સંપ્રદાયનો આદર કરે છે.


વડતાલ મંદિરના સંત સ્વામીએ કહ્યું, આજે અમારી VHP સાથે બેઠક થઈ. જે બેઠક થઈ એમાં સૌની સંમતિ આપવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે વિવાદાસ્પદ વાક્યો છે તે અંગે અમારી સમિતિ જલ્દી નિર્ણય કરશે. હાલ પ્રાથમિક નિર્ણય તરીકે ભીંતચિત્ર દૂર કરવા ફેંસલો કરવામાં આવ્યો છે.


મુખ્યમંત્રી સાથે સંતોની થઈ હતી બેઠક


સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રોને લઈ ચાલી રહેલા વિવાદને લઈ આજે મુખ્યમંત્રી સાથે સંતોએ બેઠક કરી હતી. સંતોની બેઠકમાં હર્ષ સંઘવી , પ્રફુલ પાનસેરીયા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત લાલજી પટેલ અને મથુર સવાણી પણ  ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડૉ સંત વલ્લભ સ્વામી , વડતાળ મંદિરના કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી , સાળંગપુરના કોઠારી સ્વામી અને સરધાર મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દોઢ કલાક ચાલી હતી.





સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ સરકારને શું આપી ખાતરી


સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ ઝઘડો આગળ ન વધારવા અને ભવિષ્યમાં આ પ્રકારનો વિવાદ ન થાય તેની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાંતિ સલામતી જાળવી રાખવાની પણ ખાતરી આપી હતી. સરકાર સાથેની બેઠકમાં VHP તરફથી અશોક રાવલ, અશ્વીન પટેલ, સ્વામીનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, SGVPના બાલઅગમ સ્વામી, સનાતની ચૈતન્ય શંભુ મહારાજ, પરમાત્માનંદજી, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી જીતુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.


સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો માફીપત્ર જાહેર કરેઃ જ્યોર્તિનાથ મહારાજ


જ્યોર્તિનાથ મહારાજે કહ્યું, VHP સમાધાન કરે તો પણ અમને સંતોષ નહીં થાય. અમને સંકલનમાં રાખીને VHP નિર્ણય કરે, અમારી હાજરી વગર સમાધાન મંજૂર નથી. અમારી માંગણીને લઈ કોઈ સ્પષ્ટતા નથી થઈ. અમારી માંગણી સંતોષાય તો જ સમાધાન થશે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો માફીપત્ર જાહેર કરે.


વડોદરાના દર્શન સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન


સમાધાનની વાતોની વચ્ચે વડતાલના સાધુનું ઉશ્કેરણીજનક નિવેદન  સામે આવ્યું છે. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું, ચલમ પિનારા સનાતનીની વાતો ન કરે. તારા જેટલા સંતો ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, અન્ય સંતો કરતા પહેલા અમે પહેલા સનાતની છીએ અને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.