અમદાવાદઃ દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે હંગામી જામીનની વિપુલ ચૌધરીની રજુઆત સ્વીકારવા ઇનકાર કર્યો છે. નિયમિત જામીન અરજીના પગલે સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. કોર્ટે હંગામી જામીન ન આપતા હવે વિપુલ ચૌધરીએ જેલમાં રહીને જ ચૂંટણી લડવાની રહેશે. પોલિંગ એજન્ટ અને ઇલેક્શન એજન્ટને નીમીને પ્રચાર કાર્યવાહી કરી શકાશે.
નોંધનીય છે કે, વિપુલ ચૌધરીના વકીલે 5 જાન્યુઆરી સુધીના હંગામી જામીન માંગ્યા હતા. ચૂંટણી પ્રચાર અને ઇલેક્શનમાં ભાગ લેવા હંગામી જામીન પર મુક્ત કરવા માંગણી કરી હતી. ચૂંટણીમાં ભાગ લેતા રોકવા સરકારનો પ્રયાસ હોવાની દલીલ ચૌધરીના વકીલે કરી હતી. ચૂંટણી પતે ત્યાં સુધી જામીન આપવા રજુઆત કરી હતી. ચૂંટણી લડવી એ મારો અધિકાર છે. હું ગેરલાયક ઠરેલ ઉમેદવાર નથી. કાયદેસર રીતે ચૂંટણી લડવાની યોગ્ય તક મળવી જોઈએ. કોર્ટ કડક શરતો પર હંગામી જામીન આપે એવી રજુઆત વિપુલ ચૌધરી વતી વકીલે કરી હતી.


સરકારે હંગામી જામીન આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. વગદાર વ્યક્તિ હોવાથી મતદારો પર દબાણ કરી શકે છે. સરકારી વકીલ મિતેષ અમીને રજુઆત કરી હતી. તપાસ નાજુક તબક્કામાં છે. કોર્ટે હંગામી જામીન આપવા જોઈએ નહીં, તેમ સરકારી વકીલની રજુઆત કરી હતી.