અમદાવાદઃ દિવાળીના તહેવારો પછી કોરોનાએ અમદાવાદમાં ઉથલો માર્યો છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વકરી રહી છે. છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિના 112 દર્દીઓ દાખલ થયા છે. સિવિલમાં અત્યાર સુધી ગંભીર હાલતમાં 24 કલાકમાં 90થી 95 દર્દીઓ આવતા હતા.


24 કલાકમાં પ્રથમ વખત ગંભીર હાલતમાં 112 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. 24 કલાકમાં સિવિલમાં દાખલ થયેલા 112 પૈકી 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 24 દર્દીઓ બાયપેપ અને 17 દર્દીઓ વેન્ટિમાસ્કથી સારવાર લઈ રહ્યા છે. 57 દર્દીઓ NRBMની સારવાર મેળવી રહ્યા છે.

કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ મોટું નિવેદન આપ્યું છે. જય પ્રકાશ મોદી હાલ સિવિલ સુપરિટેનડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાનો બીજો અથવા ત્રીજો તબક્કો હોય તેવું લાગે છે. સિવિલમાં સારવાર માટે આવતા દર્દીની સંખ્યા વધી છે.

તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સંક્રમણ વધી શકે છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે હાલ પૂરતી વ્યવસ્થા છે. જરૂર જણાશે તો વધુ વ્યવસ્થા ઉભી કરવાની પણ તૈયારી કરી છે. અન્ય હોસ્પિટલ્સની જરૂર જણાશે તો મદદ લેવાશે.