અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં જૂના 42 વિસ્તારની બાદબાકી સાથે આજે એકપણ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં નથી ઉમેરાયો.


અમદાવાદમાં દિવાળી બાદ કોરોના પર મહદઅંશે કાબુ મેળવવાની શરૂઆત થઈ છે. એક પણ વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉમેરવામાં નથી આવ્યો. જૂના 42 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હાલ શહેરમાં 238 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે.

નવા 294 પોઝિટીવ કેસ સાથે અમદાવાદમાં કોરોનાના કેસનો આંક 52 હજાર 631 પર પહોચ્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં 24 કલાકમાં 278 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં નવ દર્દીઓના મોત થયા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 16 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1325 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4110 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 203111 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.