અમદાવાદઃ આગામી સમયમાં અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે, ત્યારે શહેરમાં ભાજપે હોદ્દેદારો નીમવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કેટલાક વોર્ડ પ્રમુખ-ઉપપ્રમુખની અગાઉ વરણી કરી દેવામાં આવી છે. જોકે, બેહરામપુરા વોર્ડમાં ભાજપે કરેલી ઉપ્રપ્રમુખની વરણીથી ખળભળાટ મચી ગયો છે.


બુટલેગર અને પાસાના આરોપી મેહુલ લેઉઆને બહેરામપુરા વોર્ડનો ભાજપનો ઉપપ્રમુખ બનાવાયો હોવાના મીડિયાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. જોકે, વોર્ડ પ્રમુખે ગુન્હાહિત ઇતિહાસ અંગે મને ખબર નથી, તેવું રટણ કરી રહ્યા છે. છ મહિના પહેલા જ મેહુલ સંગઠન પર્વમાં ભાજપનો સક્રિય સભ્ય બન્યો હતો. છ મહિના પહેલા જ  પક્ષમાં જોડાનારને  હોદ્દાની લ્હાણી થતાં કાર્યકરોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

આ નિમણૂક પછી કાર્યકરોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિમણુંક પહેલા શું  હોદ્દેદારોના બેકગ્રાઉન્ડની નથી કરવામાં આવતી તપાસ ? હોદ્દાઓની નિમણુંકમાં આટલી ઉતાવળ કે પછી જાણી જોઈ ને થઇ રહી છે હકીકત નજરઅંદાજ ? શું શહેર ભાજપ પ્રમુખ પણ આ હકીકતથી હતા અજાણ ?  સ્થાનિકથી માંડી પ્રદેશ નેતાઓ સાથે આ મહાશયના ફોટોગ્રાફ છે.