અમદાવાદ: શહેરમાં તસ્કરો એટલા બેફામ બન્યા છે કે ફાયર સ્ટેશનમાંથી શબવાહી ચોરીને ફરાર થઈ ગયા. આ કેસમાં 24 કલાક કાર્યરત ફાયર સ્ટેશનના સ્ટાફને જાણ કેમ ન થઈ તે એક સવાલ છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, શબવાહીની ઇમરજન્સી વાહન હોવાથી ચાવી સ્ટિયરિંગમાં જ લગાવેલી હતી. સૂત્રો એવું કહે છે કે અહીં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે, તેના ગેટ પર સીસીટીવી છે પરંતુ ઇમરજન્સી વાહનોના પાર્કિંગમાં સીસીટીવી કેમેરા નથી.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા વિજયસિંહ પુવાર પ્રહલાદનગર રોડ પર આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહે છે. તેઓ આ જ ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ફાયર બ્રિગેડમાં શબવાહીની ચલાવે છે. તાજેતરમાં જ આ ફાયર સ્ટેશનમાં એક નવી શબવાહીની આવી હતી, જે વિજયસિંહ ચલાવતા હતા. આ વાહનનો નંબર GJ 01GA 2169 છે. રવિવારના રોજ તેઓ આ શબવાહીની લઈને બોડકદેવ ખાતેની વર્ધીમાં ગયા હતા. ત્યાંથી પરત આવીને સાંજના સાતેક વાગ્યે ફાયર બ્રિગેડના પાર્કિંગમાં શબવાહિની પાર્ક કરી હતી. આ વાહન ઇમર્જન્સી વાહન હોવાથી ગાડીની ચાવી સ્ટિયરિંગમાં જ રાખી હતી. આજે એટલે કે સોમવારે સવારે સાત વાગ્યે પાર્ક કરેલી જગ્યાએ શબવાહિની જોવા નહોતી મળી.

આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી. અહીં જે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેની પાછળ જ કર્મચારીઓનાં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે.