ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે ત્યારે સારવાર કરવાની ફરજ બજાવી રહેલા એક ડોક્ટર પણ કોરોનાવાયરસના ચેપનો ભોગ બન્યા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં અગ્ર સચિવ જ્યંતિ રવિએ આજે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.


જ્યંતિ રવિએ જણાવ્યું કે, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કેન્દ્રમાં કામ કરતા અને બાવળાની હરિઓમ સોસાયટીમા રહેતા ડોક્ટર કોરોનાવાયરસના ચેપનો ભોગ બન્યા છે. આ ડોક્ટરને કોરોનાવાયરસના ચેપનાં લક્ષણો દેખાતાં તેમનો ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટમાં ડૉક્ટરમાં કોવિડ 19 પોઝિટિવ મળ્યો છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં ડોક્ટર પોતાની ફરજ બજાવી રહ્યા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ ડોક્ટર મોટા ભાગે વાડજ વિસ્તારમાં કામગીરી કરી રહ્યા હતા.

ડોક્ટરનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે. તેમના કોન્ટેકટમાં આવેલા લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે. ડોક્ટરના સંપર્કમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હોઈ શકે છે તે જોતાં આ કેસ ચિંતાનો વિષય બન્યો છે.