અમદાવાદ: અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દીક્ષા સમારોહનું ભવ્ય આયોજન કરાયું છે. 30 જાન્યુઆરીએ 22 મુમુક્ષુકો એકસાથે દીક્ષા ગ્રહણ કરશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત બુધવારે વર્ષિદાન યાત્રા પણ નિકળશે. એકસાથે 22 મુમુક્ષુકો દીક્ષા લેવાના છે જેમાં મુંબઈના કલ્યાણમાં રહેતી અને પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાનો પણ સમાવેશ થાય છે. ઉષ્મા મંડલેચાના પિતા જવેલરી બિઝનેસમાં રીટેલ સેલ્સ ડિપાર્ટમેન્ટનું કામ કરે છે.

ઉષ્મા મંડલેચા સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે. પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાએ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે જ્યારે હવે સંસારને પણ છોડીને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે, પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાએ ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફિકા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ સહિતના 8 દેશો સામે મેચ રમી ચૂકી છે.

પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાએ જણાવ્યું હતું કે, બીએમસીસી કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએટ કર્યું હતું. ઈન્ટર કોલેજ, ડિસ્ટ્રીક્ટ લેવલ તેમજ મહારાષ્ટ્ર અને વેસ્ટ ઝોનની મહિલા ક્રિકેટ ટીમમાં પેસર તરીકે રમતી હતી. 8 દેશ સામે ક્રિકેટ મેચ રમી છું પરંતુ અત્યારે જીવનમાં એક નવો વંળાક આવ્યો છે.

વધુમાં તેણે જણાવ્યું હતું કે, હાલ મેં સંસાર છોડવાનુ પસંદ કર્યું છે કારણ કે જ્યારે ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંતના આશીર્વાદ લેવા માટે જતી ત્યારે શાંતિનો અહેસાસ થતો હતો. જે બિલકુલ અલગ જ અનુભવ થતો હતો. 22 વર્ષની હતી ત્યારથી દીક્ષાભાવ થયો છે. સાધ્વીજી ભગવંતોના આનંદનો અનુભવ કર્યો હતો અને જેના કારણે હું પણ એ માર્ગ ઉપર ચાલી નિકળી છું.