હવે અમદાવાદમાં 108 મારફતે આવનાર દર્દીઓને જ નહી પણ ખાનગી વાહનોમાં આવનાર દર્દીઓને પણ હોસ્પિટલમાં કરી શકાશે દાખલ.  અગાઉ જ્યારે એવો નિર્ણય લેવાયો કે માત્ર 108માં આવનાર દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરી શકાશે. એ સમયે દર્દીઓનાં પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા હતા કે 108ને ફોન કર્યા બાદ કલાકો બાદ રાહ જોવી પડે છે. તો શું અમે અમારા પરિવારજનને અમારી સામે તડપતા જોઈ રહીએ કે પછી ખાનગી વાહનોમાં સારવાર માટે પહોંચાડીએ. અંતે આવા સવાલો ઉઠતા આ નિર્ણય પાછો ખેંચાયો છે.


આ ઉપરાંત અમદાવાદમાં તમામ ખાનગી હોસ્પિટલે ફરજીયાત પણે 75 ટકા બેડ કૉર્પોરેશનને પૂરા પાડવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયને અમદાવાદ હોસ્પિટલ એંડ નર્સિંગ એસોસિએશનને આવકાર્યો છે. આહનાના જોઈંટ સેક્રેટરી ડૉક્ટર જીગર શાહે કહ્યુ કે, સરકારી-ખાનગી કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં 108 સિવાય પણ દર્દીને પ્રવેશ આપવાના નિર્ણયથી લોકોને ઘણી મોટી રાહત મળશે અને 108ને પણ ભારણ ઘટશે. આ નિર્ણયના કારણે તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા દર્દીને ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડી પ્રવેશ આપી શકાશે.


ગઈકાલે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા, જેનો અમલ આજથી કરવામાં આવશે.



  • કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જરૂરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. હોસ્પિટલોએ કોવિડ દર્દીઓ કોઈપણ રીતે પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે.

  • શહેરમાં કોવિડ સારવાર પૂરી પાડતી તમામ ખાનગી હોસ્પિટલોએ તેમની ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ કોવિડ સારવાર માટે પૂરા પાડવાની રહશે.  એટલે કે કોવિડ સિવાયના દર્દીઓ માટે 25 ટકા બેડ જ ઉપલબ્ધ  રહેશે. આનાથી શહેરમાં કોવિડ સારવાર માટે વધારાના 1000 બેડ ઉપલબ્ધ થશે.

  • દર્દીને ઝડપથી દાખલ કરી શકાય તે માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિપાત પણ તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવી છે.

  • કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં એએમસી ક્વોટામાં દાખલ થવા 108 સેવાનો કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત પણ નહીં રહે.

  • કોરોના દર્દીની ઝડપથી સારવાર થઈ શકે અને તાત્કાલિક દાખલ કરી શકાય તે માટે ઓપીડી-ટ્રાઇએજની સુવિધા પૂરી પાડવાની રહેશે.

  • હોસ્પિટલોએ રાજ્ય સરકારના પોર્ટલ પર બેડની રીયલ ટાઈમ માહિતી સતત આપવી પડશે.

  • હોસ્પિટલની બહાર વિશાળ ડિસ્પ્લે બોર્ડ પર વાંચી શકાય તે રીતે રીયલ ટાઈમ માહિતી આપવી પડશે.

  • 108 સેવાના કંટ્રોલ રૂમનનું સંચાલન એએમસીના અધિકારીઓ તથા રાજ્ય સરકારની આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે કરશે.

  • ટેક્નિકલ કારણોસર તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા કોઈ પણ દર્દીને સારવારની ના પાડી શકાશે નહીં.