અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. અમદાવાદમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસો સૌથી વધુ છે. ત્યારે અમદાવાદીઓ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે.


વાત એવી છે કે, ગઈ કાલે અમદાવાદ શહેરમાં 173 કેસ નવા આવ્યા હતા. જોકે, તેની સામે 240 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, નવા આવેલા કેસો કરતા વધુ 67 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેને કારણે અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે.

એના આગલા દિવસે એટલે કે, પહેલી ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં 172 કેસ નોંધાયા હતા. જેની સામે 238 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, નવા આવેલા કેસો કરતા વધુ 62 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 30મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં 179 કેસ નોંધાયા હતા. જેની સામે 239 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, નવા આવેલા કેસો કરતાં વધુ 60 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પહેલા 29મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં 176 કેસ નોંધાયા હતા, જેની સામે 219 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

અમદાવાદ કોર્પોરેશનની વેબસાઇટ પ્રમાણે 2 ઓક્ટોબરની અખબારી યાદી પ્રમાણે શહેરમાં 3614 એક્ટિવ કેસો છે. જ્યારે શહેરમાં કુલ કેસો 34,576 છે. તેમજ તેમાંથી 29,190 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો અત્યાર સુધીમાં કુલ 1772 લોકોના કોરોનાથી મોત થયા છે.