અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વિજય રૂપાણી સરકાર કોરોના નાથવા માટે આક્રમક રણનીતિ અમલી બનાવી છે. વિજય રૂપાણીએ આ કામગીરીમાં અસરકારક ભૂમિકા નહીં ભજવતા અધિકારીઓ સામે પણ લાલ આંખ કરી છે. તેના ભાગરૂપે વિજય રૂપાણીએ સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. આર. એમ. જીતિયાની ટ્રાન્સફર કરી દીધી છે. ડો. જીતિયાને સિદ્ધપુર ટ્રાન્સફર કરાયા છે.


કોરોનાવાયરસના ભરડામાં અમદાવાદ આવી ગયું છે અને અમદાવાદમાં સતત કેસો વધી રહ્યા છે. આ સંજોગોમાં સોલા સિવિલ હોસ્પિટલે મહત્વની ભૂમિકા ભજવવાની છે. ડો. જીતિયા આ ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યા હતા. કોવિડ 19 સામે લડવાની તેમની નબળી કામગીરી હતી. આટલો મોચો રોગચાળો હોવા છતાં ડો. જીતિયા 10 દિવસથી સેલ્ફ કોરોન્ટાઇન થઈ ગયા હતા. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવ્યા છતાં ડો. જીતિયા હાજર ન થતાં રાજ્ય સરકારે આકરી કાર્યવાહી કરીને સિદ્ધપુર ટ્રાન્સફર કરી દીધા છે.