અમદાવાદઃ રાજ્યમાં બાળકોમાં કોરોના સંક્રમણ સામે આવતા શિક્ષણ વિભાગ એક્શનમાં આવી ગયો છે. શિક્ષણ અંગેની SOP કડક બનાવવા આગામી સમયમાં શિક્ષણ વિભાગ પરિપત્ર કરશે.


સુરત અને અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ સામે આવતા શિક્ષણ વિભાગ આગામી સમયમાં જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પરીપત્ર મોકલશે , તેમ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બાળકો ખાસ કરીને સ્કૂલમાં ભણે છે, ત્યારે રાજ્ય સરકાર પણ એના માટે સંવેદનશીલ છે. એમાં ખાસ વધારે અવેરનેસ રાખીને, સાવચેતી રાખીને ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય એ પ્રકારનો પત્ર મોકલાશે. આ સમયમાં સાવચેતીની આવશ્યકતા છે. ડરવાની જરૂર નથી. લડવાની આવશ્યકતા છે. સાથે સાથે અવેરનેસ પણ રાખીએ આપણા બાળકની. અને આમ જનતાની પણ એટલી જ ચિંતા આપણે સાથે મળીને કરીએ તો આમાં પણ આપણને જીત ચોક્કસ મળશે. 


સાયન્સ સીટી ખાતે રાજ્યકક્ષાના 29 માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસના શુભારંભ કાર્યક્રમમાં આવેલા શિક્ષણમંત્રીએ ગુજરાતના 33 જિલ્લાના 189 બાળ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી અને તેની સાથે ગુજરાત સ્ટેમ કવિઝ પણ શરૂ કરાવી. 33 બાળ વૈજ્ઞાનિકો રાજ્યનું નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ખાતે પ્રતિનિધિત્વ કરનાર છે તે તમામ બાળ વૈજ્ઞાનિકોને શિક્ષણમંત્રી રૂબરૂ થયા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા 19 થી 21 ડિસેમ્બર દરમિયાન 29 માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં 10 થી 17 વર્ષીય બાળકોની અલગ અલગ વિજ્ઞાન સંબંધિત શોધ અને તેના ઉકેલ રજૂ કરવામાં આવનાર છે.


ધો. 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના
1. તમામ સ્ટાફ દ્વારા વેક્સિનના બંન્ને ડોઝ સુનિશ્ચિત કરવું.
2. કોઇપણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
3. વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરવાની રહેશે.
4. વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં સંક્રમણ જણાય તો શાળાએ મોકલવું નહીં.
5. શાળાએ ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહેશે.