અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય કલાર્કની  પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાનો આક્ષેપ કેટલાક વિદ્યાર્થીઓએ કર્યો છે. સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓએ પેપરનું સીલ તૂટેલું હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો.


જો કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું કે, પેપર લિકની કોઇ પણ ઘટના બની નથી. સુરેન્દ્રનગરમાં જે હોબાળો થયો છે તેમાં વર્ગખંડ નિરિક્ષકની ભૂલ છે. નિરિક્ષકે વર્ગખંડની બહાર જ સીલ તોડી નાખ્યું હતું. આમ પેપર લીક થયાની વાત ખોટી છે તેથી ફરી પરીક્ષા લેવાની વાતોમાં આવવું નહીં.

તેમણે કહ્યું કે, આ ઘટના અંગે માહિતી મળતાં ગૌણ સેવા પસંદગી મંડળનો સ્ટાફ અને કલેક્ટર સહિતનાં લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનાની વિગત એવી છે કે, સામાન્ય રીતે વર્ગમાં પેપરનું પેકેટ સીલબંધ આવે છે અને બે વિદ્યાર્થીઓની હાજરીમાં તેનું સીલ તોડવામાં આવે છે અને બે વિદ્યાર્થીઓની સહી પણ લેવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં આ પેકેટ   ખુલ્લું આવ્યું હતુ અને કોઇ વિદ્યાર્થીની સહી પણ નહોતી. તેના કારણે ઉમેદવારોએ ગેરરીતિની આશંકા સાથે હોબાળો મચાવ્યો હતો. તેમણે આ અંગે પોલીસ તપાસની પણ   માંગ કરી  હતી. જો કે વિદ્યાર્થીઓને સમજાવટ કરાતાં તેઓ પરિક્ષા માટે તૈયાર પણ થઇ ગયા હતા.

વોરાએ જણાવ્યું કે, અમારા ડેટા અનુસાર માત્ર 20 વિદ્યાર્થીઓએ જ બહિષ્કાર કર્યો હતો. આ સમગ્ર હોબાળા દરમિયાન વિદ્યાર્થીઓનો સમય બગડ્યો તે માટે મંડળ દ્વારા તેમને વધારાનો 45 મિનિટનો સમય પણ ફાળવી દેવામાં આવ્યો હતો. પરિક્ષા ફુલપ્રુફ અને સુરક્ષીત રીતે જ પાર પડી છે.