અમદાવાદઃ બોટાદમાં થયેલા કેમિકલ લઠ્ઠાકાંડના વિવાદમાં મોટા સમાચા સામે આવ્યા છે. AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી આગોતરા અરજી કોર્ટે હાલના તબક્કે સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી છે. આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા હાઇકોર્ટની છૂટ માંગી હતી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા આરોપીઓને છૂટ આપી. સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસમાં અરજી પર સેશન્સ કોર્ટે નિર્ણય લેવાનો રહેશે. મીડિયાના રિપોર્ટ્સ અને દબાણના કારણે યોગ્ય ન્યાય માટેની તક નહીં મળે એવી આરોપીઓની દલીલ હાઇકોર્ટે ફગાવી છે. 


સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આરોપીઓના વકીલને ટકોર કરી કે, બંદૂકનું લાયસન્સ હોય અને નોકર નામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલા ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો?  મિથેનોલ માટે ના લાયસન્સ ની આકરી શરતો બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી. હાઇકોર્ટ આરોપીઓના વકીલને પૂછ્યું... સીધા હાઇકોર્ટમાં અરજી શા માટે? સેશન્સ કોર્ટમાં ફેર ચાન્સ નહીં મળે કયા આધાર પર માની રહ્યા છો?