અમદાવાદ: ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. ત્યારે અમદાવાદમાં ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પર ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીમાં મુખ્યંમંત્રી રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. અમિત શાહે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપ એ મેળવેલ પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ ને અભિનંદન આપ્યા હતા.


ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે યોજાયેલ અભિવાદન સમારંભમાં નવા જીતેલા કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં છે. સભામાં હાજર લોકોને સીઆર પાટીલે નમન કર્યું હતું. સી આર પાટીલે જણાવ્યું હતું ગત 2015માં 142નો રેકોર્ડ તોડીને 159 પહોંચ્યા છીએ. આપણે ટાર્ગેટ સુધી પહોંચી શક્યા નથી. આપણો લક્ષ્‍યાંક 168 હતો. આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યાર થી જ કામે લાગવું જોઈએ. જે ઉમેદવારો સક્ષમ હતાં તેમણે જીત મેળવી છે. કેટલાક ઉમેદવારો કેમ હાર્યા તેના પર મંથન થશે.