અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે. આ પૈકી  શરૂઆતના ટ્રેન્ડમાં દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ નિકળી ગયા હતા જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ અને ગોતા એ પાંચ વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 20 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ આગળ છે. આમ આદમી પાર્ટી એખ પણ વોર્ડમાં આગળ નતી.  અમદાવાદના કુલ 48 વોર્ડ પૈકી 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે.


 બંને મતગણતરી સ્થળે પોલીસ, મતગણતરી એજન્ટ, રાજકીય પાર્ટીના નેતાઓ અને અન્ય લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે. આ  બંને સ્થળે સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી અને 9 વાગ્યે ઈવીએમના મતની ગણતરી શરૂ થઈ હતી.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે.  જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.