ગાંધીનગર: બિપોરજોય વાવાઝોડાને લઈને શાળા કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે તો બીજી તરફ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. વર્ગ 3ના કર્મચારીઓની ખાતકીય પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હતી. 19 થી 24 જૂન દરમિયાન લેવાનારી આ પરીક્ષા વાવાઝોડાના કારણે મોકૂફ રાખવામાં આવી છે.


હસમુખ એચ પટેલે ટ્વિટ કરી આપી માહિતી
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ મુલતવી રાખવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૦૩ ની વિવિધ જાહેરાતોથી વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજવાની જાહેરાત મંડળની વેબસાઇટ પર કરવામાં આવેલ છે.


તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બિપોરજોય ચક્રવાતને લીધે સર્જાયેલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પરીક્ષાર્થીઓના વ્યાપક હિતને અનુલક્ષીને સદર ખાતાકીય પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી (Postponed) રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જે સંબંધિત પરીક્ષાર્થીઓને નોંધ લેવા આથી જાણ કરવામાં આવે છે. ખાતાકીય પરીક્ષા માટે આગામી કાર્યક્રમ નિયત થયે મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.


અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય


બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યના શહેરોની શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.



વાવાઝોડાની ગંભીર અસરને જોતા અમદાવાદમા શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાનીની શાળાઓ બંધ રહેશે. વાવાઝોડાની અસરને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદવાદનાં DEO એ પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને જાણ કરી છે.









બિપોરજોય વાવાઝોડાને લઈ પાટણ વહીવટી તંત્રએ પણ સાવચેતીના પગલાં લીધા છે. પાટણ જિલ્લામાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં તા,15 થી 17 સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. આંગણવાડી,પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા,તેમજ કોલેજોમાં 3 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તારિખ 17ના રોજ સમગ્ર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમમિક, અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંદ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા પત્ર વ્યવહાર દ્વારા શાળા કોલેજોને જાણ કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય બંદ રહેશે પરંતુ આ દરમિયાન કર્મચારીઓને સ્થળ પર હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.


જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રહેશે


બિપોરજોય વાવાઝોડા અન્વયે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ ૧૬મી અને ૧૭મી જૂને બંધ રાખવામાં આવશે છે.


વડોદરાની શાળા કોલેજો આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય


બિપોરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આવતીકાલે વડોદરા શહેરની તમામ શાળાઓ અને કોલેજ બંધ રહેશે.  કલેકટર અતુલ ગોરે આદેશ જાહેર કર્યો છે.


ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરુ


વાવાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. ગુજરાતમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 12 km ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ પર ગમે ત્યારે ટકરાશે. હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે, જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ હવનની ગતિ વધી શકે છે અને 140 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.