અમદાવાદઃ કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે, કોંગ્રેસમાં તેમનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો.


એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે, મારી કાર્યક્ષમતા પ્રમાણે પક્ષમા મારો ઉપયોગ નથી થતો. હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને વિચારધારાથી જોડાયેલો છું તેથી ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે કામ કરી રહ્યો છું. કોંગ્રેસની વિચારધારાના કારણે કોંગ્રેસમાં આવ્યો ને કોંગ્રેસને જીતતી જોવા માગું છું.

ગુજરાતમાં રવિવારે જિલ્લા-તાલુકા પંચાતો અને નગરપાલિકાના મતદાન પહેલાં હાર્દિકે કરેલી આ વાત મહત્વની છે. ગુજરાતમાં રવિવારે છ મહાનગરપાલિકાઓનાં પરિણામ આવ્યાં તેમાં ભાજપે શાનદાર જીત મેળવીને તમામ મહાનગરપાલિકામાં સત્તા કબજે કરી છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.