અમદાવાદઃ રાજ્યમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અમદાવાદમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદની સાબરમતી નદીની આસપાસ આવેલા તારાપુર સહિતના 12 જેટલા ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.


ગઈકાલે આવેલ ભારે વરસાદને કારણે વાસણા બેરેજના દરવાજા ગઈકાલથી જ ખોલી દેવામાં આવ્યા છે. સાબરમતીમાં પાણી છોડવાને કારણે આસપાસના નીચાણવાળા 12 જેટલા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. લોકોને સરપંચ અને તલાટીના સપંર્કમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે.

ભારે વરસાદને કારણે વટામણ-સાબરમતી પુલનો ટ્રાફિકનો રૂટ બદલવામાં આવ્યો છે. વડોદરા તરફથી આવનાર ટ્રાફિકનો રૂટ તારાપુર થઇ માતર- ખેડા -ધોળકા તરફ બદલવામાં આવ્યો છે છે, જ્યારે ભાવનગર, સૌરાષ્ટ્ર તરફથી આવનાર ટ્રાફિકનો રૂટ વટામણ-ધોળકા-ખેડા-માતર-તારાપુર તરફ બદલવામાં આવ્યો છે.