અમદાવાદઃ નરોડામાં બનેલી એક અજબ ઘટનામાં યુવકની જેની સાથે પહેલાં સગાઈ થઈ હતી તે યુવતી સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. સગાઈ તૂટી ગયા પછી યુવકનાં બીજે લગ્ન થયાં હતાં પણ પહેલાં સગાઈ થઈ હતી તેની સાથે સંબંધ ચાલુ રહ્યા હતા. બંને ભાગી ગયાં હતાં પણ 18 દિવસ પછી પાછાં આવતાં પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પત્નિએ પ્રેમિકાને કરગરીને આ ફરિયાદ પાછી ખેંચાવી હતી. યુવકે પ્રેમિકા સાથેસંબંધ નહીં રાખવાની ખાતરી આપી હતી છતાં હવે બંને ફરી ભાગી ગયાં છે.


નરોડાનાં સ્વામીનારાયણ પાર્કમાં રહેતા પ્રફુલ્લ દેવદાસ મોદી (ઉ. 33) સાથે સોનલ ઉર્ફે સોનિયાએ 2006માં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ, સાસુ અજુબેન, સસરા દેવદાસ અને નણંદ રોશની સાથે રહેતી હતી. પ્રફુલ્લ બાઇક રિપેરિંગનું કામકાજ કરે છે અને લગ્નજીવન દરમિયાન જૈનમ(ઉ. 12) નામનો દીકરો થયો હતો.

લગ્ન પહેલાં પ્રફુલ્લની સગાઈ પૂજા સાથે નક્કી થઇ હતી અને બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. પ્રફુલ્લનાં  લગ્ન સોનલ સાથે  થયાં છતાં પ્રફુલ્લ અને પૂજાના સંબંધો ચાલુ રહ્યા હતા. 2017માં પ્રફુલ્લ પૂજા સાથે ભાગી ગયો હતો. બંને 18 દિવસે પરત આવ્યા બાદ પૂજાએ પ્રફુલ સામે બળાત્કારની ફરિયાદ નોધાવી હતી.

આ સમયે પત્ની સોનલ અને પ્રફુલ્લના માતા-પિતાએ જામીન કરાવ્યા હતા. એક વર્ષમાં સમાધાન થયુ હતું પણ ઘરે આવેલા પ્રફુલ્લે પત્નીનો આભાર માનવાને બદલે તેના પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધુ હતુ. બાદમાં 2018માં પ્રફુલ પુજા સાથે ભાગી ગયો હતો. બંને મૈત્રી કરારથી સાથે રહેવા લાગ્યા હતા.

બીજી બાજુ સાસરીયાઓએ પણ સોનલને ઘર ખાલી કરી દેવા શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. આખરે કંટાળીને સોનલે પોતાના સાસુ, સસરા, પતિ અને નણંદ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. સોનેલ પોલીસ સામે કરગરી હતી કે, તેમને ન્યાય અપાવો અને પતિના લીવ ઇન કરારને અમાન્ય કરી આપો. પોલીસે આ અંગે સોનલને કઈ રીતે મદદ મળી શકે તેના કાયદાકીય વિકલ્પો અંગે કાર્યવાહી શરૂ કરી છે.