Old building redevelopment Gujarat: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુજબ, અમદાવાદ અને ગુજરાતમાં જૂના મકાનના રિડેવલપમેન્ટમાં ભાગ લેનારા લોકોએ સાવચેત રહેવું જોઈએ. રિડેવલપમેન્ટ માટે જમીન આપનારા જૂના સભ્યોને બિલ્ડરના ભાગીદાર ગણવામાં આવે છે, અને તેથી જો કોઈ વિવાદ થાય તો તેઓ રેરા સમક્ષ ફરિયાદ કરી શકશે નહીં.


આનો અર્થ એ થયો કે જો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કોઈ ખોટી રીતો થાય, બાંધકામમાં વિલંબ, ખરાબ ગુણવત્તા, અથવા કરારનું ઉલ્લંઘન, તો જૂના સભ્યો સિવિલ કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકશે. રેરા આવા વિવાદોમાં કોઈ રાહત આપી શકશે નહીં.


અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી તુષાર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં થયેલા વિવાદમાંથી ઘણું બધું શીખવા મળે છે. આ કેસમાં, જૂના સભ્યો અને બિલ્ડર વચ્ચે કરાર, સમયમર્યાદા, ગુણવત્તા અને સુવિધાઓને લઈને મતભેદ થયો હતો.


આ પ્રોજેક્ટમાં ર૪થી ૩૦ મહિનામાં ફ્લેટ બાંધી આપવાનું ઓફર લેટરમાં જણાવ્યું હતું. ૧૩૦ વારનો નવો ફ્લેટ આપવાનો કરાર બિલ્ડર સાથે કર્યો હતો. રિડેવલપમેન્ટના કરારમાં અમુક જૂના સભ્યની સહી સંમતી લેવાઈ નહોતી. મુકેશ ખત્રી રિડેવલપમેન્ટ રોકવા સિવિલ કોર્ટમાં ગયા હતા. સિવિલ કોર્ટમાં સમાધાન થયું હતું. આ સમાધાનમાં ૨૪થી ૩૦ માસમાં કબજો સોંપવાનું રૂ. ૩૮ લાખમાં એલોટ કરવાનું, સોસાયટીને આપેલી ઓફર મુજબ કોમન એમેનિટીઝ સાથે ફ્લેટ આપવાના કરાર થયા હતા.


કરાર કર્યા છતાં સભ્યને ગિફ્ટ મનીના રૂપિયા૧૦ લાખ ચૂકવવામાં ન આવ્યા અને મોડેથી કબજો આપવાના ગાળાનું વ્યાજ ચૂકવ્યું નથી. તેમ જ એમેનિટીઝ આપવા કરાર કર્યા પછી એમેનિટીઝ આપી નહોતી.


સામાન્ય રીતે, જૂના મકાનોને તોડીને નવા બનાવવામાં આવે છે અથવા તેના ઉપર વધુ માળ બાંધીને વેચવામાં આવે છે. તુષાર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના કિસ્સામાં, મોટાભાગના સભ્યો નવા બનેલા મકાનમાં જ રહે છે અને કેટલાક ફ્લેટ પણ વેચવામાં આવ્યા છે. આ સોસાયટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જૂના સભ્યોને સહ પ્રમોટર ગણવામાં આવે છે.


રેરાના સભ્ય એમ.એ. ગાંધીએ 12 જૂનના ચુકાદામાં જણાવ્યું હતું કે:



  • રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટનો હેતુ ફક્ત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થતાં વેચાણના વ્યવહારોને નિયંત્રિત કરવાનો છે.

  • પુનર્વસન (rehabilitation) પ્રોજેક્ટ આ કાયદા હેઠળ આવતા નથી.

  • તુષાર એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ રિડેવલપમેન્ટ પુનઃ નિર્માણ નહિ પણ પુનર્વસનનો છે.

  • ફરિયાદી, જમીનના માલિક હોવાને કારણે, પ્રોજેક્ટના સહ પ્રમોટર ગણાય છે.

  • સહ પ્રમોટર અને પ્રમોટર વચ્ચેના વિવાદનો નિવેદો લાવવાની રેરા કોર્ટ પાસે કોઈ સત્તા નથી.