અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. કોરોના પોઝિટીવ કેસ વધવાની સાથે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. આમ છતા અમદાવાદ શહેરમાં નવેમ્બર મહિનામાં કુલ મળીને 154 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. જેને લઈને પ્રશાસન મૃત્યુના આંકડા છુપાતી હોવાની નાગરિકોએ આશંકા વ્યક્ત કરી.


આશંકા જવાનું કારણ છે કે, અમદાવાદ ફાયર વિભાગે નવેમ્બર મહિનાના 30 દિવસમાં કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ કુલ મળીને 296 મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હોવાના આંકડા મળી રહ્યા છે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. હોસ્પિટલોમાં મૃતદેહ લેવા માટે પરિવારજનોને રાહ જોવી પડતી હોય તેવી ફરિયાદો પણ ઉઠી છે. છતા આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં સત્તાવાર કુલ 154 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હોવાના આંકડા દર્શાવાયા છે.

જ્યારે અમદાવાદ ફાયર બ્રિગેડે આ સમય દરમિયાન જ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ અમદાવાદના અલગ અલગ સ્મશાનગૃહોમાં 296 મૃતદેહોનું અંતિમ સંસ્કાર કર્યુ હોવાનું જાણવા મળ્યુ..

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1477 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4004 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જ્યારે 1,92,368 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,804 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,11,257 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1547 દર્દી સાજા થયા હતા અને 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 78,94,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.06 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,26,940 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,26,752 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 188 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.