India vs Pakistan: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈ અમદાવાદમાં તહેવાર જેવો માહોલ છે. બંન્ને ટીમે અમદાવાદ પહોંચી એક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો છે. જ્યારે આજે ભારતીય ટીમ બપોરે ફરીથી પ્રેક્ટિસ સેશન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. ભારતીય ટીમને ITC નર્મદા હોટલમાં રોકાણ આપવામાં આવ્યું જ્યારે પાકિસ્તાનની ટીમને હોટલ હયાતમાં રોકાણ આપવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાનની ટીમના કેપ્ટન આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાકિસ્તાનના કેપ્ટન અને મેનેજમેન્ટ સ્ટાફ બપોરે 2 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જ્યારે ભારતીય કેપ્ટન અને મેનેજમેન્ટ ટીમ 5:45 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. ભારતીય ટીમ પ્રેક્ટિસ બાદ પ્રેસ યોજશે જ્યારે પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ અગાઉ પ્રેસને સંબોધશે.
બંન્ને ટીમોની હોટેલ સહિત સ્ટેડિયમ જવા આવવાના રૂટ પર મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ITC નર્મદા હોટેલ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે અને ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં મુકાયા છે. જ્યારે કેશવબાગથી માનસી સર્કલ સુધીના માર્ગ ઉપર ભીડ ન કરવા પોલીસે સુચના આપી છે. જો કે ક્રિકેટરોની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને અત્યારથી જ ક્રિકેટ રિસકો હોઈ વોલ્ટેજ મુકાબલો જોવા ઉત્સાહિત છે. જો કે ભારત અને પાકિસ્તાને વર્લ્ડકપની અત્યાર સુધીની પોતાની બંન્ને મેચ જીતી છે.
આ હાઈ-વોલ્ટેજ મેચની રોમાંચક તૈયારીઓ કરવામાં આવી છે. ભારત- પાકિસ્તાન મેચમાં પ્રેક્ષકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકસ્ટ્રા AMTS અને BRTS બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મૂકવામાં આવી છે. BRTSની પણ રૂટ ઉપરાંત 22 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે ચાલુ રહેશે.
વર્લ્ડ કપ 2023ની 12મી મેચ પહેલા સેલિબ્રેશન કરવામાં આવશે. જેમાં ભારતના ત્રણ મોટા કલાકારો પરફોર્મ કરશે. બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ આ શોનો હિસ્સો હશે. અરિજીતની સાથે શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ પણ પરફોર્મ કરશે.