ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ભારત સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડીને રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારને કન્ટેઈન્મેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન નક્કી કરવાનો પણ અધિકાર આપ્યો છે ત્યારે ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે જિલ્લા કલેક્ટરોને પોત પોતાના વિસ્તારના કન્ટેઈન્મેન્ટ ઝોન નક્કી કરવા કહી દીધું છે. જિલ્લા કલેક્ટરો આ વિગતો રાજ્ય સરકારને સોંપશે અને તેને કેન્દ્ર સરકારને સોંપાશે.


રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી છે કે, રાજ્યમાં મંગળવાર સવારથી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે અને કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપીશું. જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં નાઈટ કરફ્યુનો અમલ કરવામાં આવશે. સાંજે 7 વાગ્યાથી સવારના 7 સુધી બધાએ ઘરમાં રહેવાનું છે અને તેનો કડક અમલ કરાવવામાં આવશે.



તેમણે જાહેરાત કરી છે કે, હવે કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર તમામ ઈન્ડસ્ટ્રીને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે એસટી અને સિટી બસ સર્વિસ પ્રમાણે ચાલુ કરવામાં આવશે અને તેના નિયમો આવતીકાલે બહાર પાડશે. આ ઉપરાંત સ્કૂટરચાલકો અને રિક્ષાચાલકોને પણ છૂટ આપવામાં આવશે. પણ સોમવારે તેના નિયમો બહાર પડશે. કેટલા પેસેન્જર અને કેટલા સમય સાથે ચલાવવાનું રહેશે તેની જાહેરાત કરવામાં આવશે. દુકાનો અને ઓફિસો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર ચાલુ કરવા માટેનાં નિયમો બહાર પાડવામાં આવશે. જે પણ છૂટછાટ મળશે પણ તેના નિયમો જાહેર કરવામાં આવશે. હોમ ડિલિવરીનાં નિયમો પણ જાહેર કરવામાં આવશે.