અમદાવાદઃ મહાત્મા ગાંધીનાં જન્મનાં ૧૫૦ વર્ષ અને નવજીવન ટ્રસ્ટની સ્થાપનાનાં ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે વર્ષ ૨૦૧૯માં નવજીવન ટ્રસ્ટ દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તા. ૪ મે, ૨૦૧૯નાં રોજ આવિર્ભાવ સ્કૂલ ઓફ ક્રિએટીવ આર્ટસનાં સહયોગમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સાંજે ૭.૦૦ કલાકે ‘મહાત્મા-એક અનંત શક્તિ’ નૃત્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નૃત્ય કાર્યક્રમમાં મહાત્મા ગાંધી જીવનમૂલ્યો સાથે કેવી રીતે જીવી ગયા તેની સુંદર અભિવ્યક્તિ કરવામાં આવશે.


મહાત્મા ગાંધીનાં મુલ્યો દરેક પેઢી માટે પ્રેરણાદાયી બની રહ્યા છે. ‘મહાત્મા-એક અનંત શક્તિ’ નૃત્યમાં નેરેટિવ, વિઝયુઅલ્સ, ડાન્સ અને મ્યુઝિકનું સુંદર સંતુલન કરવામાં આવ્યું છે. ડાન્સર્સની ટીમ દ્વારા ભરતનાટયમનાં માધ્યમથી મહાત્મા ગાંધીનાં સંદેશને અભિવ્યક્ત કરવામાં આવ્યો છે. આ નૃત્યનાટિકાની સંકલ્પના, આલેખન અને નૃત્યશૈલી ડાયરેકટર શર્મિષ્ઠા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે ‘નવજીવન ટ્રસ્ટ દ્વારા મુંબઈનું નાટક ‘મોહનનો મસાલો’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.  આ નાટકમાં મોહનલાલ ગાંધીથી મહાત્મા ગાંધી સુધીની યાત્રાને સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. મનોજ શાહ દિગ્દર્શિત અને જનમ શાહ નિર્મિત ‘મોહનનો મસાલો’ નાટક તા. ૪ મે, ૨૦૧૯નાં રોજ એચ.કે.આર્ટસ્ કોલેજ હોલમાં રાત્રે ૯.૩૦ કલાકે ભજવવામાં આવશે.’