અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો ભોગ બનેલા સ્વામિનારાયણ સાધુ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય કથળ્યું હોવાનો દાવો ગુજરાતના એક અગ્રણી અખબારના અહેવાલમાં કરાયો છે.


આ અહેવાલ પ્રમાણે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય કોરોના સંક્રમણને કારણે વધુ કથળ્યું છે. છેલ્લા 10 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આચાર્ય સ્વામીજી મહારાજને ફેફસાંની તકલીફ વધવાને કારણે વેન્ટિલેટરના સપોર્ટ પર મૂકવામાં આવ્યા હોવાનો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને એક યાદીમાં જણાવ્યું છે કે, આચાર્ય સ્વામીજી મહારાજનું સ્વાસ્થ્ય સુધરે તે માટે વિશ્વના શ્રી સ્વામિનારાયણ ગાદી હસ્તકના તમામ મંદિરોમાં ધૂન-પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ યાદીમાં જણાવાયું છે કે, સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને છેલ્લા ૧૦ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતમાં ફેફસાની તકલીફ વધવાને કારણે તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. આમ તેમની તબિયત ક્રિટિકલ ગણાય, પરંતુ મેડિકલ સારવાર દ્વારા તેમની તબિયત સુધારા પર આવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ ડોક્ટરોએ જણાવ્યું છે.

આચાર્ય પીપી સ્વામી મહારાજને જૂનના છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણ થયું હતું. અગાઉ તેમની તબિયત સ્થિર હતી પરંતુ તેમનાં ફેફસામાં ઇન્ફેક્શન વધી ગયું હોવાથી તેમને મંગળવારે બપોરે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પીપી સ્વામી મહારાજ ઉપરાંત ગાદી સંસ્થાનના 10 સંતોને પણ કોરોના સંક્રમણ થયું હતું. આ અન્ય સંતોનું સ્વાસ્થ્ય હવે સુધારા પર છે. સંતોને કોરોના સંક્રમણ થતાં મણિનગર સ્વામિનારાયણ મંદિરને કોર્પોરેશન દ્વારા ક્વોરેન્ટાઇન પણ જાહેર કરાયું હતું.