અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે રાજ્યના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતના 4 જિલ્લામાં છેલ્લા છ દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ જિલ્લાઓમાં ભરુચ, છોટા ઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.


ભરુચની વાત કરીએ તો ભરુચમાં કુલ 37 કેસ નોંધાયા છે. જેમાંથી 29 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. છોટાઉદેપુરમાં કુલ 22 કેસ નોંધાયા છે. જેમાંથી 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ડાંગમાં કુલ બે કેસ નોંધાયા હતા, જે બંને રીકવર થઈ ગયા છે. તેમજ દેવભૂમિ દ્વારકામાં કુલ 12 કેસ નોંધાયા છે. જેમાંથી 11 લોકો સ્વસ્થ થઈ ગયા છે.



નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈ કાલે એક સાથે 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતમાં દર્દીઓનો રીકવરી રેટ વધીને 48.13 ટકા થઈ ગયો છે. જે લોકો માટે ખુબ સારા સમાચાર કહી શકાય. રાજ્યમાં અઠવાડિયા પહેલા દર્દીઓની રીકવરી રેટ 40.89 ટકા હતા. જે વધીને 48.13 ટકા થયો છે. જે સમગ્ર દેશના 41.60 ટકા રીકવરી રેટની સરખામણીએ વધારે છે.

ગઈ કાલે ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 436 દર્દીઓ અને સુરતમાંથી 25 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સિવાય વડોદરામાં 9, પાટણમાં 8, સાબરકાંઠામાં 9, ખેડામાં 6, ગાંધીનગરમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 2-2, ભરુચ અને રાજકોટમાં 1-1 દર્દીને રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 7137 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં હાલ, કુલ 6777 એક્ટિવ કેસ છે.