અમદાવાદ: અમદાવાદમાં આવેલા ખાણી-પીણી બજાર માકેણચોક 26 જાન્યુઆરી 2020થી 31 જાન્યુઆરી 2020 સુધી બંધ રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાએ એક તરફ લો ગાર્ડનની હેપ્પી ફુડ સ્ટ્રીટના ઉદઘાટનની તૈયારીઓ કરી રહી છે. ત્યાં અમદાવાદ મહાનગરાપાલિકા દ્વારા જ 5 દિવસ માણેકચોકનું રાત્રિ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


પાંચ દિવસ બંધ પાછળ માણેકચોકમાં નવા રસ્તા સહિતનાં કામકાજ ચાલી રહ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 કરોડનાં ખર્ચે માણેકચોકમાં નવા રસ્તા સિવાય અનેક રિપેરિંગના કામકાજ કરવામાં આવી રહ્યાં છે.

સ્વાદના શોખીનો માટે માણેકચોક આમ તો ઉત્તમ જગ્યા છે. પરંતુ રસ્તાના રિપેરિંગ માટે બંધ રહેવાને કારણે સ્વાદના શોખીનોએ નારાજ થવું પડ્યું છે. આ પહેલાં વર્ષ 2002માં તોફાનો સમયે આ બજાર થોડા દિવસ માટે બંધ રહ્યું હતું. ત્યારથી લઈને 17 વર્ષ દરમિયાન આ બજાર ક્યારેય બંધ રહ્યું નથી.

થોડા દિવસ પહેલાં અમદાવાદના મેયર સહિતનાં મહાનુભાવોએ રાત્રે ખાણી-પીણીની મજા લેવા માટે માણેકચોક પહોંચ્યા હતાં. ત્યારે સ્થાનિક કોર્પોરેટરે તેમને ખરાબ રસ્તા અંગે વાત કરી હતી. જેને લઈને મેયર તાત્કાલિક બજારના રસ્તા રિપેર માટે સ્પેશિયલ બજેટમાંથી રિપેરિંગ માટે રકમ ફાળવી હતી. રસ્તાના રિપેરિંગ બાદ રાત્રિ ખાણીપીણીનું આ બજાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જોકે દિવસ દરમિયાન અહીં સોની બજાર, કપડાં બજાર તથા શાકભાજીનું વેચાણ ચાલુ રહેશે. 5 દિવસ દરમિયાન માત્ર રાત્રિનું બજાર જ સંપુર્ણ બંધ રહેશે.