અમદાવાદઃ લવકુશ મહાસંમેલનમાં નીતિન પટેલે કહ્યુ-સમાજ ક્યારેય અલગ નહોતા પણ ખબર ના પડી ક્યારે અલગ થઇ ગયા
abpasmita.in | 12 Jan 2020 11:36 AM (IST)
મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેંદ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, નરહરિ અમીન, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓ પહોંચ્યા હતા.

અમદાવાદઃ અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લવ-કુશ પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં કડવા-લેઉવા અને રાજકીય પક્ષોના ભેદભાવ ભૂલીને તમામ પાટીદાર નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેંદ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, નરહરિ અમીન, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓ પહોંચ્યા હતા. લવ કુશ સંમેલનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી ટકોર કરતા કહ્યું હતું કે, સમાજ ક્યારેય અલગ નહોતો પણ ખબર ના પડી ક્યારે અલગ થઇ ગયો. કદાચ રાજકારણ કે અન્ય કારણે આ કડવા-લેઉવા ના ભેદભાવ થયા હશે. સત્ય કહીએ તો હંમેશા કડવું લાગે છે અને હું તો કડવા પટેલ છું એટલે બચી જાવ છું. નીતિનભાઈ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે ત્યારે તેમણે સાંકેતિક રીતે કહ્યુ હતું કે, હું જે સમાજમાંથી આવું છું તે જાણતા હોવાના કારણે મારા કડવા વેણને પક્ષના નેતાઓ પણ માફ કરે છે. તે સિવાય 30 હજાર જેટલા પાટીદાર પરિવારો પણ સંમેલનમાં પહોંચ્યા છે. સંમેલનમાં વિવિધ ક્ષેત્રના વિવિધ સ્તરે ખાસ સિદ્ધિ હાંસલ કરનારા કર્મશીલ પાટીદારોને પાટીદાર શિરોમણી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.