અમદાવાદ: આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થતાં ગરમી વધી શકે છે. જોકે 13 મેથી વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદમાં ગરમી ફરી 40 ડિગ્રીને પાર થશે. સોમવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે, જ્યારે 14મીથી 17મી મે દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ પલટાશે.

આ ચાર દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે 16મી મેએ આ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. જોકે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિંવત છે. આમ આગામી સપ્તાહે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો એકથી બે ડિગ્રી ગગડતાં વાતાવરણમાં ઠંડક અનુભવાશે.

રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા કચ્છના કેટલાંક વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે.

આ ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડશે અને વાતાવરણ પલટાતા લોકોને ગરમીમાં આશિંક રાહત મળશે. રાજ્ય તરફ આવતાં પવનોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.