અમદાવાદઃ કોંગ્રેસના સંગઠન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પેટાચૂંટણી બાદ સંગઠનનું માળખુ જાહેર થશે. બે દિવસ સુધી જિલ્લા તાલુકા પંચાયત અને પેટાચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. નિરીક્ષકો સાથે બેઠક થશે. જિલ્લા સ્તરે અમારું માળખું તૈયાર થઈ ગયું છે, તેમ રાજીવ સાતવે જાહેરાત કરી હતી.


ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ તે પહેલા જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. ગુજરાત કંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આગામી બે દિવસ રાજ્યમાં ખાલી પડેલી 8 બેઠકો અંગે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સાથે બેઠક યોજશે.

આ ઉપરાંત 8 બેઠક પરના નિરીક્ષકો સાથે પણ પ્રભારી રાજીવ સાતવ મીટિંગ કરશે. જ્યારે બુધવારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યો તેમજ વોર્ડ નિરીક્ષકો સાથે બેઠક કરવામાં આવશે. પેટાચૂંટણી બાદ યોજાનારી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થશે.

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં 8 ધારાસભ્યોએ પંજો છોડી કેસરિયો ધારણ કરીને રાજીનામાં આપ્યા હતા. જેના કારણે હાલ આ બેઠકો ખાલી પડી છે. અબડાસા - પ્રધ્યુમન જાડેજા, ડાંગ - મંગળ ગાવિત, કપરાડા - જીતુ ચૌધરી, કરજણ - અક્ષય પટેલ, ગઢડા - પ્રવિણ મારુ, ધારી - જે.વી. કાકડીયા, લીંબડી - સોમા પટેલ, મોરબી - બ્રિજેશ મેરજા ના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.