AHMEDABAD : ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું સમાપન થયું. આ બેઠકમાં રોજગાર સંબંધિત ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.  ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કામની તકો વધારવી જરૂરી છે. ઠરાવમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.


રોજગારીના પડકારનો સામનો કરવા સક્રિય ભૂમિકા ભજવવી પડશે
 ઠરાવમાં કહેવામાં આવ્યું કે ભારત પોતાના વિપુલ માત્રામાં કુદરતી સંસાધનો, માનવશક્તિ તથા સાહજિક ઉદ્યોગસાહસિકતા જેવી બાબતોને લક્ષ્યમાં લઈને ખેતી, ઉત્પાદન તેમજ સેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવીને પૂરતા પ્રમાણમાં તકો ઊભી કરીને અર્થતંત્રને ઉચ્ચ સ્તરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. કોવિડ મહામારી સમયે રોજગાર તથા આજીવિકા ઉપર તેની અસર આપણે અનુભવી છે, ત્યારે સાથે જ તેને પરિણામે અનેક તકો ઉભરી હોવાનું પણ અનુભવ્યું જેનો સમાજના કેટલાક લોકોને લાભ મળ્યો. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ વાત ભારપૂર્વક કહેવા માગે છે કે રોજગારીના આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરવા સમગ્ર સમાજે આવી તકોનો લાભ લેવામાં સક્રિય ભૂમિકા ભજવવી પડશે.


 ભારતીય આર્થિક મોડલને મહત્ત્વ આપવું જોઇએ
અખિલ ભારતીય પ્રતિનિધિ સભા માને છે કે, માનવ કેન્દ્રિત, પર્યાવરણલક્ષી, શ્રમ પ્રધાન તથા વિકેન્દ્રીકરણ અને લાભનું ન્યાયસંગત વિતરણ કરે તેવા ભારતીય આર્થિક મોડલને મહત્ત્વ આપવું જોઇએ. જેનું લક્ષ્યાંક ગ્રામ્ય અર્થતંત્ર, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો તેમજ ખેતી આધારિત ઉદ્યોગોને પોષણ મળે એવું હોય. ગ્રામ્ય રોજગાર, અસંગઠિત ક્ષેત્ર તેમજ મહિલાઓને રોજગાર અને અર્થવ્યવસ્થામાં તેમની ભાગીદારી હોય તેવાં ક્ષેત્રોને પ્રોત્સાહન આપવું જોઇએ. આપણી સામાજિક પરિસ્થિતિને અનુરૂપ નવી ટેકનિક તથા સોફ્ટ સ્કિલ અંગીકાર કરવા માટે પ્રયાસ કરવો આવશ્યક છે.



દેશમાં રોજગાર સર્જનના અનેક સફળ ઉદાહરણ ઉપલબ્ધ
દેશના દરેક ભાગમાં ઉપરોક્ત દિશાને અનુરૂપ રોજગાર સર્જનના અનેક સફળ ઉદાહરણ ઉપલબ્ધ છે જ. એ પ્રયાસોમાં સ્થાનિક વિશેષતાઓ, કુશળતા તેમજ આવશ્યકતાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એવા ઘણાં સ્થળે ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયીઓ, નાના નાણા સંગઠનો, સ્વયં સહાય જૂથો તેમજ સ્વૈચ્છિક સંગઠનોએ શ્રેષ્ઠ ઉત્પાદન, સહકાર, સ્થાનિક ઉત્પાદનનું પ્રત્યક્ષ વેચાણ તેમજ કુશળતા જેવાં ક્ષેત્રોમાં પ્રયાસ શરૂ કરી દીધા છે. આ પ્રયાસોને કારણે હસ્તકળા, ખાદ્યચીજોનું ઉત્પાદન, ઘરેલુ ઉત્પાદન તેમજ પારિવારિક વ્યવસાય જેવી બાબતોને પ્રોત્સાહન આપ્યું છે. એ તમામ અનુભવોનું પરસ્પર આદાન-પ્રદાન કરીને જ્યાં જરૂર હોય ત્યાં તેનો અમલ કરવા અંગે વિચાર કરી શકાય. 


કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમોએ રોજગારી વધારવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નબળા અને વંચિત સમૂહો સહિત સમાજના મોટાભાગના લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવા સક્ષમ પ્રયાસોની સા-નંદ નોંધ લે છે. સમાજમાં સ્વદેશી તથા સ્વાવલંબનની ભાવના જગાવવા માટે ઉપરોક્ત પહેલ દ્વારા પ્રોત્સાહન મળશે.


ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાની આવશ્યકતા
વધુ રોજગાર આપતા આપણા ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાની આવશ્યકતા છે, તેનાથી આયાત ઉપર આપણી નિર્ભરતા ઓછી થઈ શકે. પ્રશિક્ષણ અને ચર્ચા-વિચારણા દ્વારા સમાજને, ખાસ કરીને યુવાનોને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ આપવું જોઇએ. એમ કરવાથી તેઓ નોકરી મેળવવાની માનસિકતામાંથી બહાર આવી શકશે. આવા પ્રકારની ઉદ્યોગ સાહસિકતાને મહિલાઓ, ગ્રામીણ પ્રજા, અંતરિયાળ વિસ્તારો તેમજ જનજાતી ક્ષેત્રોમાં પણ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આ દિશામાં શિક્ષણકારો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, સામાજિક સંગઠનો તેમજ વિવિધ સંસ્થાઓ પ્રભાવક ભૂમિકા ભજવી શકે છે. એ માટે સરકારી તેમજ અન્ય પ્રયાસોનું સંકલન થાય એ જરૂરી છે.


સામાજિક સ્તરે નવી ઉત્સાહજનક પદ્ધતિઓ શોધવી પડશે
ઝડપથી બદલાતી આર્થિક તેમજ ટેકનિકલ પરિસ્થિતિમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આપણે સામાજિક સ્તરે નવી ઉત્સાહજનક પદ્ધતિઓ શોધવી પડશે. આગળ વધી રહેલી ડિજિટલ અર્થવ્યવસ્થા તેમજ નિકાસની સંભાવનાઓ દ્વારા ઊભી થતી રોજગારી અને ઉદ્યોગ સાહસિકતાની તકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઇએ. રોજગાર પહેલાં અને રોજગાર દરમિયાન પ્રશિક્ષણ, સંશોધન તેમજ ટેકનિકલ નવીનીકરણ, સ્ટાર્ટઅપ તેમજ ગ્રીન ટેકનોલોજી ઉપક્રમોને પ્રોત્સાહન આપવામાં આપણે ભાગીદાર થવું જોઇએ.