નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 2002 ગુજરાતના તોફાનો મામલે પીડિતા બિલ્કિસ બાનોને 50 લાખ રૂપિયાનુ વળતર, નોકરી અને ઘર આપવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આદેશ અનુસાર ગુજરાત સરકારે બે અઠવાડિયાની અંદર ઘર અને વળતર બિલ્કિસ બાનોને આપવુ પડશે.


સુપ્રીમ કોર્ટે આ વર્ષે 23 એપ્રિલે ગુજરાત સરકારને બિલ્કિસ બાનોને 50 લાખ રૂપિયા વળતર આપવાનો અને તેના માટે પુનર્વાસ કરવાનો આદેશ આપ્યો હતો. વળતરની રકમ ના મળ્યા બાદ બિલ્કિસ બાનોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બે અઠવાડિયાની અંદર વળતર અને ઘર આપો.



સુપ્રીમ કોર્ટના વકીલે ગુજરાત સરકારના વકીલના તે પક્ષને પણ ફગાવી દીધો હતો, જેમાં વળતરની રકમ વધારે બતાવવામાં આવી હતી, અને તેના બદલે માત્ર 10 લાખ રૂપિયા આપવાની અપીલ કરવામાં આવી હતી. આ પહેલા રાજ્ય સરકાર તરફથી તેને માત્ર 5 લાખ રૂપિયાનુ વળતર આપવામાં આવ્યુ હતુ.


બિલ્કિસ બાનોની સાથે 21 વર્ષની ઉંમરમાં ગોધરા કાંડ દરમિયાન ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો, તેની ત્રણ વર્ષની દીકરીને પણ મારી નાંખવામાં આવી હતી.