અમદાવાદઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. 2015ના પાટીદાર આંદોલન કેસમાં સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને 6 માર્ચ સુધીના આગોતરા જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી કાયદાકીય કાર્યવાહીને વિલંબમાં નાંખીને હાર્દિક પટેલ નાસતો-ફરતો હતો.


હાર્દિક પટેલ આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થઇ હતી, બાદમાં હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું હતું.

રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ જેલ બહાર આવેલા હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.