અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. અમદાવાદમાં દર્દીઓની અને મૃતકોની સંખ્યામાં વધારો થતો જાય છે. શુક્રવારે એક જ દિવસમાં વધુ 312 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા છે. અમદાવાદમાં વધુ 21 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.


જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સાથે અમદાવાદ શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 18258ની થઈ ગઈ છે. તેમજ કુલ મૃત્યુઆંક 1496 પર પહોંચી ગયો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા દર્દીઓ નોંધાયા છે. જોકે પશ્ચિમઝોન અને નવા પશ્ચિમઝોનના વિસ્તારો પૂર્વપટ્ટા કરતાં આગળ નીકળી ગયા છે.

પશ્ચિમઝોનના ચાંદખેડા, વાડજ-નવાવાડજ, વાસણા-પાલડી, નારણપુરા, રાણીપ, નવરંગપુરા, સાબરમતી, સ્ટેડિયમ વગેરે વિસ્તારોમાં સૌથી વધુ 73 દર્દીઓ નોંધાયા છે. બે દિવસ પહેલાં 81 નોંધાયા હતા. જ્યારે ઉત્તરપશ્ચિમ - દક્ષિણપશ્ચિમ નવા પશ્ચિમઝોનના બન્ને ભાગોમાં થઈને 68 કેસ મકતમપુરા, વેજલપુર, ગોતા, થલતેજ, સેટેલાઇટ, બોડકદેવ-વસ્ત્રાપુર, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં નોંધાયા છે.

આ પૈકી કેટલાંક વિસ્તારો કન્ટેન્મેન્ટ કે માઈક્રો કન્ટેન્મેન્ટઝોન જાહેર થશે અને ટૂંકમાં જ પતરાં લાગશે તેમ જણાય છે. ઉચ્ચ અધિકારીઓની મીટીંગમાં આ અંગે સૂચના પણ અપાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. શહેરના એકટિવ કેસોમાં પણ સૌથી વધુ પશ્ચિમઝોનના 811 દર્દીઓ છે, જ્યારે બીજા ક્રમે ઉત્તરઝોનમાં 713 દર્દીઓ સારવાર હેઠળ છે.