અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વના ભવ્ય સ્વાગતની તૈયારી છે. એરપોર્ટ રોડ પર કોંગ્રેસના નિશાન સાથે ઝંડા લગાવવામાં આવ્યા છે. જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા આજે દિલ્હીથી પ્રભારી સાથે અમદાવાદ આવશે. તાજ સર્કલથી એરપોર્ટ સુધીના રૂટ પર કોંગ્રેસના તોરણ ઝંડા લગાવાયા છે. નવા નેતૃત્વના સ્વાગતની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એરપોર્ટ ખાતે નવા નેતૃત્વનું કોંગ્રેસના નેતાઓ - કાર્યકરો ભવ્ય સ્વાગત કરશે.


પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નવા અધ્યક્ષ અને પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી કરી લેવામાં આવી છે. બંન્ને નેતાઓએ ગઈ કાલે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે  મુલાકાત કરી હતી. હાઈકમાન્ડની લીલીઝંડી બાદ સત્તાવાર જાહેરાત થશે.



ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાઈકમાન્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.  ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેચતાણ ચાલી રહી હતી. જેમા ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી.



રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અવઢવમાં પડી ગયા હતા. પરંતુ આખરે તેનો અંત આવી ગયો છે.



સુખરામભાઈ રાઠવા છોટા ઉદેપુરના પાવીજેતપુરના ધારાસભ્ય છે. જ્યારે જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. ગઈ કાલે દીપક બાબરિયાનું નામ સામે આવતા અનેક નેતાઓમાં ચહલ-પલ મચી ગઈ હતી. જોકે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનવા માટેની જે શરત રાખી છે, તે પછી મોટા ભાગના નેતાઓ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.