Bhavnagar : ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદનને લઈને ગુજરાત નહિ પણ દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે જેને લઇને દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા આજે 11 એપ્રિલે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ખાસ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓના શિક્ષણ અને બાંધકામ અંગેની સમીક્ષા કરી હતી જે દરમિયાન તેમણે 27 વર્ષથી શાસન કરતાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં શિક્ષણ અંગે ચર્ચાઓ થવી જોઈએ


એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી : સીસોદીયા 
આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણપ્રધાન  મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓએ માહિતી મેળવી હતી સાથે જ તેમણે શહેરની હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62  મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવર્તી શાળાની મુલાકાત લીધી હતી.


સરકારી શાળાની મુલાકાત લઈ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું આવવાનો હતો એટલે સાફ-સફાઈ તો કરી છે પણ એટલી થઈ નથી, હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ અહીં આવીને મેં જોયું કે શિક્ષણપ્રધાનના મત વિસ્તારમાં જ શાળાઓની હાલત કેટલી ખરાબ છે


ભાવનગરની 52 શાળાઓમાં 100થી વધુઇ કાયમી શિક્ષકોની ઘટ 
ભાવનગર શહેરની પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો શહેરમાં 13 વોર્ડમાં કુલ 52 શાળાઓ આવેલી છે જેમાં 25 હજાર બાળકો અભ્યાસ કરે છે સાથે જ 100થી વધુ કાયમી શિક્ષકોની ઘટ છે, થોડા દિવસ પહેલાં મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના શિક્ષણપ્રધાનના નિવેદનની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર રહેલા ભાજપના શાસનમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. 


ભર ઉનાળામાં બાળકો નીચે બેસીને અભ્યાસ કરે છે 
ભાવનગરની મુલાકાતે આવી પહોંચેલા મનીષ સિસોદિયાએ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમજ ઈસુદાન ગઢવી ભાવનગરના સીદસર ખાતે આવેલ કન્યા કેળવણી શાળાની મુલાકાત લીધી હતી જેમાં શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકો સાથે વાર્તાલાપ કરી શાળાની સ્થિતિ અંગે દુઃખ વ્યક્ત કરી ભાજપની ટીકા કરી હતી. જે શાળાની મુલાકાત લીધી હતી તેમાં ભર ઉનાળે બાળકો નળીયા નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા. ગુજરાત શિક્ષણની સ્થિતિને લઇ મનીષ સિસોદિયાએ સરકારને આડે હાથ લઈ શાળાની સ્થિતિ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. 


 


Education Loan Information:

Calculate Education Loan EMI