8th Pay Commission updates: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. 8મા પગાર પંચની ભલામણો અને મોંઘવારી ભથ્થા (DA) ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 8મા પગાર પંચને રચાયે લગભગ આઠ મહિના વીતી ગયા છે અને હવે પંચ પાસે પોતાની ભલામણો સરકારને સોંપવા માટે 10 મહિનાનો સમય બાકી છે. જોકે, આ દરમિયાન કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે સરકાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં DA માં વધારો જાહેર કરી શકે છે. આ નિર્ણયથી દેશના લગભગ 5.5 મિલિયન (55 લાખ) કર્મચારીઓ અને 6.9 મિલિયન (69 લાખ) પેન્શનરોને સીધો ફાયદો થશે.
DA વધીને 60% થયો, સપ્ટેમ્બરમાં નવી જાહેરાતની આશા
કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) જાહેર કરે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે DA માં 2% નો વધારો કર્યો હતો, જેનાથી કર્મચારીઓનું કુલ DA 60% થઈ ગયું છે.
ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશનના પ્રમુખ મનજીત સિંહ પટેલના જણાવ્યા મુજબ, જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટેનું DA મોટાભાગે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે, જોકે ક્યારેક તેમાં ઓક્ટોબર સુધીનો સમય પણ લાગી શકે છે.
DA ની જાહેરાતમાં લાગતા સમય પાછળનું કારણ ડેટા છે. સરકાર માત્ર એક મહિનાના ડેટા પરથી નિર્ણય નથી લેતી, પણ સરેરાશ કાઢવા માટે ઓછામાં ઓછા 2 થી 3 મહિનાના ડેટાનો ઉપયોગ કરે છે.
કઈ રીતે થાય છે DA ની ગણતરી?
કેન્દ્રીય કર્મચારીઓના DA ની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ' (AICPI-IW) ના ડેટાના આધારે કરવામાં આવે છે. એપ્રિલ 2026 નો અંતિમ AICPI-IW આંકડો 0.8 પોઈન્ટ વધીને 149.9 પર પહોંચ્યો હતો. હવે જુલાઈ 2026 માં DA નો દર કેટલો વધશે, તેનો સીધો આધાર મે અને જૂન મહિનાના ડેટા પર રહેલો છે.
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: કર્મચારીઓને મળશે 24 મહિનાનું એરિયર! જાણો ટેક્સની ગણતરી અને નિયમો
8મા પગાર પંચ સમક્ષ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
8મા પગાર પંચને પોતાના સૂચનો (મેમોરેન્ડમ) સોંપવાની અંતિમ તારીખ 15 જૂન, 2026 હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે.
કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારી સંગઠનોએ પંચને પોતાના પ્રસ્તાવો આપી દીધા છે, જેમાં પગાર, પેન્શન અને નિવૃત્તિ પછીના લાભો વધારવાની માંગ કરાઈ છે.
કર્મચારીઓની સૌથી મોટી માંગ 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) વધારવાની અને લઘુત્તમ મૂળ પગાર (Basic Pay) માં નોંધપાત્ર વધારો કરવાની છે.
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: ₹18,000 થી સીધો કેટલો વધશે પગાર? જાણો 70 વર્ષનું ઐતિહાસિક ગણિત
પંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસે
15 જૂનની સમયમર્યાદા પૂરી થયા બાદ હવે પગાર પંચે કર્મચારીઓ સાથે પરામર્શ (ચર્ચા-વિચારણા) નો એક મહત્વનો તબક્કો પૂરો કરી લીધો છે. હવે કમિશન કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય લોકો તરફથી મળેલા સૂચનોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે. આ ઉપરાંત, 8મા પગાર પંચે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેવાનું પણ શરૂ કરી દીધું છે (જે પૈકી કેટલાક રાજ્યોનો પ્રવાસ પૂરો પણ થઈ ગયો છે). આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કર્મચારીઓ પાસેથી સીધા જ સૂચનો મેળવવાનો છે.
