Hindenburg Research Report : અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના જાન્યુઆરીના રિપોર્ટમાંથી અદાણી ગ્રૂપને થયેલું નુકસાન ભરપાઈ થઈ રહ્યું નથી. ગ્રૂપ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન (અદાણી એમકેપ)માં ઘટાડો અને ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ હજુ સુધી રિકવર થઈ શકી નથી. રિપોર્ટ બાદ અદાણી જૂથના એક પછી એક અનેક સોદા અટકી રહ્યા છે જેમાં વધુ એક સોદાનો સમાવેશ થાય છે. 


થવાની હતી રૂપિયા 400 કરોડ રૂપિયાની ડિલ 


એક વિશ્વસનીય અહેવાલ અનુસાર, અદાણી જુથ સાથે અટકેલા સોદાઓની યાદી લાંબી થતી જાય છે અને હવે એરક્રાફ્ટ મેન્ટેનન્સ કંપની એર વર્ક્સ સાથેના પ્રસ્તાવિત સોદામાં એક નવું નામ ઉમેરાયું છે. અદાણી જૂથે એર વર્ક્સને $53 મિલિયન એટલે કે આશરે રૂ. 400 કરોડમાં ખરીદવાની યોજના તૈયાર કરી હતી. આ માટે બંને પક્ષો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ હતી. આ માટે એક તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ નિર્ધારીત કરવામાં આવેલી આ તારીખ જતી રહી છે. 


ક્રિસિલે કહ્યું કે...


એક અહેવાલમાં ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. ક્રિસિલે તેની તાજેતરની એક નોંધમાં કહ્યું છે કે, બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ રહી નથી અને વધુ પ્રગતિની કોઈ આશા પણ નથી રહી. તેનો અર્થ એ થયો કે, અદાણી જૂથ દ્વારા એર વર્ક્સ ખરીદવાની યોજના સંભવતઃ સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા પણ એવા અહેવાલો આવ્યા હતા કે આ ડીલ સ્થગિત થઈ ગઈ હશે.


અદાણી જૂથે વ્યૂહરચના બદલી 


જો કે, હજુ સુધી અદાણી ગ્રુપ કે એર વર્ક્સ તરફથી આ ડીલ વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. જાહેર છે કે, હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના ઘણા સોદા મોકૂફ રાખવામાં આવ્યા છે. જૂથે તેની વ્યવસાય કરવાની વ્યૂહરચનામાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. હસ્તગત કરીને નવા ક્ષેત્રોમાં પોતાનો પગપેસારો કરવા માટે પ્રખ્યાત અદાણી જૂથે હવે દેવું ઘટાડવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. જૂથે હાલમાં નવા સોદા મોકૂફ રાખવાની વ્યૂહરચના અપનાવી છે.


અનેક ક્ષેત્રોમાં છે અદાણી જૂથની હાજરી


અદાણી ગ્રૂપે તાજેતરના સમયમાં ભારતમાં સૌથી મોટા બિઝનેસ જૂથોમાંનું એક છે. આ જૂથ એફએમસીજીથી ગ્રીન એનર્જી અને પોર્ટથી એરપોર્ટ સુધીના બિઝનેસમાં સક્રિય છે. અદાણી ગ્રુપ પાસે હાલમાં ભારતમાં 7 એરપોર્ટ ચલાવવાનો અધિકાર છે. એર વર્કસના અધિગ્રહણ સાથે અદાણીનો એરપોર્ટ બિઝનેસ વિસ્તરણ કરવાનો હતો.