અનિલ અંબાણીની કંપની રિલાયન્સે જયવીર શેરગિલને કાનૂની નોટિસ મોકલીને ચૂપ રહેવાની ચેતવણી આપી છે. કંપનીએ કડક શબ્દોમાં કહ્યું છે કે શેરગિલ પાસે પુરાવા હોય તો જ બોલે. નહીંતર તેમણે આ માટે દંડ ચૂકવવો પડશે.
રિલાયન્સની ચેતવણીનો જવાબ આપતાં કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે, તે આવી નોટિસથી ડરવાના નથી. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખીને તેના પર લગાવવામાં આવેલા આરોપનો જવાબ માંગ્યો હતો.
અનિલ અંબાણીએ તેના પત્રમાં લખ્યું હતું કે, કેટલાક હિતશત્રુઓ અને કોર્પોરેટ હરિફોએ કોંગ્રેસને ખોટી જાણકારી આપી ગુમરાહ કરવાની કોશિશ કરી છે. અનિલ અંબાણીએ તમામ આરોપ ખોટા અને નિરાધાર હોવાનું કહ્યું હતું.
અનિલ અંબાણી પહેલાં પણ કહી ચુક્યા છે કે રક્ષા મંત્રાલયે રિલાયન્સ ગ્રુપની કંપનીને 36 રાફેલ વિમાનોનો કોન્ટ્રાક્ટ નથી આપ્યો. રિલાયન્સને હજારો કરોડો રૂપિયાનો ફાયદો થઈ જવા રહ્યો હોવાની વાત માત્ર અફવા છે. અમારો ભારત સરકાર સાથે કોઈ પણ કોન્ટ્રાક્ટ નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે કે 2015માં રાફેલ ડીલની જાહેરાત બાદ દસ દિવસ પહેલા જ રિલાયન્સ ડિફેન્સ અસ્તિત્વમાં આવી હતી.