નવી દિલ્હીઃ આરબીઆઈએ લોકડાઉન અને કોરોના મહામારીથી પ્રભાવિત લોનધારકોને રાહત આપવા માટે ઈએમઆઈ ચૂકવવા માટે 6 મહિનાની રાહત આપી છે. એક નજરમાં આ જાહેરાત સગવડતાભરી દેખાઈ રહી છે પરંતુ નિષ્ણાંતોનું કહેવું ચે કે, આ ગાળામાં લોન પર વ્યાજ ચાલુ રહેશે જેથી આવનારા સમયમાં લોનધારકોને ડબલ ઝટકોલાગી શકે છે. આ જ કારણ છે કે રાહતના પ્રથમ તબક્કામાં એસબીઆઈના માત્ર 20 ટકા ગ્રાહકોએ જ આ વિકલ્પની પસંદગી કરી હતી.


લોન લેનારની ક્ષમતા પર થઈ શકે છે અસર

બેન્કિંગ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે, આમ તો કોઈ ઈએમઆઈ ન ચૂકવવાનો વિકલ્પ પસંદ કરનાર ગ્રાહકોની લોન એનપીએ અંતર્ગત ન આવે અને ન તો તેના સિબિલ પર કોઈ અસર પશે. તેમ છતાં આગામી એક વર્ષ સુધી તેની લોન લેવાની ક્ષમતા પર તેની અસર પડવાનું નક્કી છે.

બેંક લોન આપવામાં સાવચેતી રાખશે

બેંક એવા ગ્રાહકોને લોન દેવામાં ખૂબ જ સાવચેતી રાખશે અને તેને ઈએમઆઈ આધારિત નવી લોન આપવા અને તેની લોનની લિમિટ વધારવાથી અચકાશે. અનેક બેંક અધિકારીઓનું કહેવું છે કે, રાહતનો ગાળો પૂરો થયા બાદ એવા ગ્રાહકોને કુલ ઈએમઆઈ ચૂકવવાની ક્ષમતા પર શંકા છે. સાથે જ બિઝનેસ લોન લેનારા ગ્રાહકોના કારોબારની સ્થિરતા આગામી કેટલાક વર્ષો સુધી અનિશ્ચિત રહેશે.

બેંક તરફથી ઈએમઆઈ રાહતનો લાભ લેનારા ગ્રાહકોને ચૂકવણી માટે ત્રણ વિકલ્પ આપવામાં આવી શકે છે.

1- રાહતનો સમય પૂરો થવા પર આ છ મહિનાનું કુલ જેટલું વ્યાજ થશે તેની એક સાથે ચૂકવણી કરવી પડશે.

2- કુલ વ્યાજની બાકી રકમ લોનમાં જોડી દેવામાં આવશે અને એ પ્રમાણે લોન ચૂકવવાના બાકીના સમયમાં ઈએમઆઈની રકમની ચૂકવણી કરવી પડશે.

3- કુલ વ્યાજને લોનની બાકીની રકમ સાથે જોડી દેવામાં આવશે અને ઈએમઆઈની રકમ પહેલા જેટલી જ રહેશે, પરંતુ લોન ચૂકવવાનો સમય વધી જશે.

વ્યાજ પર પણ ચૂકવવું પડી શકે છે વ્યાજ

રાહતની જાહેરાત દરમિયાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટ કર્યું હતું કે, ઈએમાઈ પેમેન્ટમાં મળેલી છૂટના સમયગાળા દરમિયાનનું વ્યાજ ગ્રાહકોએ ચૂકવવું પડશે. બેંક આ વ્યાજને અલગ ટર્મ લોન તરીકે બદલી શકે છે, જેથી પહેલાથી ચાલી રહેલ લોનની ઈએમઆઈમાં કોઈ ફેરફાર ન થાય.

જો બેંક આ સૂચનનું પાલન કરે તો ગ્રાહકોને ટર્મ લોન નિયમો અંતર્ગત બાકી વ્યાજ પર પણ વ્યાજ ચૂકવવું પડી શકે છે. તેનો મતલબ છે કે જો કોઈના 20 હજારના હપ્તામાં 13 હજાર વ્યાજની રકમ સામેલ છે અને તે છ મહિનાની રાહતનો વિકલ્પ પસંદ કરે તો તેને 78 હજાર રૂપિયાના કુલ વ્યાજ પર અલગથી વ્યાજ ચૂકવવું પડી શકે છે.